કરુરમાં નાસભાગ-અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ

Spread the love

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં થયેલી નાસભાગ મામલે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે ટીવીકે જિલ્લા સચિવ વીપી મથિયાલગનની પહેલી ધરપકડ કરવામાં આવી હતી. બીજી ધરપકડ TVKના પદાધિકારી પૌનરાજની હતી, જેના પર નાસભાગ કેસના મુખ્ય આરોપી મથિયાલગનને આશ્રય આપવાનો આરોપ છે. મંગળવારે ત્રીજી ધરપકડ યુટ્યુબર અને પત્રકાર ફેલિક્સ ગેરાલ્ડની કરવામાં આવી હતી.ચેન્નાઈ પોલીસે પુષ્ટિ કરી છે. ગેરાલ્ડ પર અફવા ફેલાવવાનો આરોપ છે. પોલીસે મથિયાલગન, રાજ્ય મહામંત્રી બાસી આનંદ અને ઉપમહામંત્રી નિર્મલ કુમાર સામે FIR નોંધી છે.
FIRમાં વિજય પર આરોપ છે કે તેઓ જાણી જોઈને રેલીમાં મોડા પહોંચ્યા, જેથી મોટી ભીડ ભેગી થાય. વધુમાં, તેમણે મંજુરી વિના રોડ શોનું આયોજન કર્યું હતું. FIRની કોપીમાં લખ્યું છે-“વિજયના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને આકર્ષવા માટે કરુરમાં એન્ટ્રી ચાર કલાક મોડી કરાવવામાં આવી. બપોરે 1 વાગ્યાથી તેમના સમર્થકો તડકામાં રસ્તા પર ઉભા હતા. આનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને જાનહાનિ થઈ”.
27 સપ્ટેમ્બરના રોજ સાંજે તમિલ અભિનેતા વિજયના રાજકીય પક્ષ, TVKની એક ચૂંટણી રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. તેમાં 18 મહિલાઓ, 13 પુરુષો અને 10 બાળકો સહિત 41 લોકો માર્યા ગયા હતા. 95 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 51 લોકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. FIRમાં જણાવાયું છે કે વિજય સાંજે 4:45 વાગ્યાની આસપાસ કરુરમાં હતો, પરંતુ જ્યારે તેનો કાફલો સાંજે 7 વાગ્યે રેલી સ્થળ પર પહોંચ્યો ત્યારે ભીડ બેકાબૂ બની ગઈ હતી. પોલીસે રેલીના આયોજકો અને વિજયના નજીકના લોકોને ગંભીર પરિસ્થિતિની સંભાવના વિશે ચેતવણી આપી હતી, પરંતુ તેઓએ તેને અવગણી.
પોલીસ પણ આ કેસમાં પક્ષપાતી હોય તેવું લાગે છે. તેમણે FIRમાં વિજય પર આરોપ લગાવ્યો છે, પરંતુ તેની સામે કેસ કર્યો નથી. તેમણે તેના ત્રણ નજીકના સાથીઓ સામે કેસ દાખલ કર્યો છે. તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 105 (હત્યાનો પ્રયાસ), 110 (હત્યાનો પ્રયાસ), 125 (બીજાના જીવનને જોખમમાં મૂકવું) અને 223 (આદેશનો અનાદર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમિલનાડુ જાહેર સંપત્તિ (નુકસાન અને નુકસાન નિવારણ) અધિનિયમ, 1992ની કલમ 3 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
કરુર ભાગદોડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ અરુણા જગદીશનના નેતૃત્વ હેઠળની સમિતિને સોંપવામાં આવી છે. સોમવારે, નિવૃત્ત જ​​​​​જે કરુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલોની હાલત પૂછી હતી. આ દરમિયાન, સીએમ સ્ટાલિને જણાવ્યું હતું કે સમિતિનો તપાસ અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય પક્ષો અને અન્ય સંગઠનો દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમો (રેલીઓ અને મેળાવડા) માટે પણ નવા નિયમો સ્થાપિત કરવામાં આવશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને સોમવારે કરુરના વેલુસામીપુરમની મુલાકાત લીધી હતી, જ્યાં ભાગદોડ મચી હતી, અને પછી ઘાયલોની હાલત પૂછવા માટે હોસ્પિટલ ગયા હતા. તેઓ પુથુર ગામ પહોંચ્યા, જ્યાં નાસભાગમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા.
રવિવારે રાત્રે, અભિનેતા વિજયના નીલંકરાય સ્થિત ઘરે બોમ્બ હોવાની ધમકી મળી હતી. ચેન્નાઈ પોલીસને ફોન કરીને ઘરની અંદર બોમ્બ મુકવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક અભિનેતાના ઘરે સુરક્ષા વધારી દીધી હતી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ વિસ્ફોટક મળી આવ્યો નહીં.
ટીવીકેના વકીલ, અરિવઝગને જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ અને સીસીટીવી ફૂટેજમાંથી મળેલી માહિતી સ્પષ્ટપણે દર્શાવે છે કે સમગ્ર ઘટના કેટલાક ડીએમકે નેતાઓ દ્વારા ઘડવામાં આવેલ કાવતરું હતું. તેમણે હાઇકોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા CBI તપાસની વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *