
આગામી દિવાળી તહેવારના ત્રણ દિવસ અમદાવાદ શહેરના નાગરિકો AMTS બસમાં મુસાફરી કરી શકશે. ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એમ ત્રણ દિવસ તમામ પ્રવાસીઓને મફત મુસાફરી કરવા દેવા અંગેનો સૌ પ્રથમ વખત નિર્ણય AMTS કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારગામથી પણ કેટલાંક લોકો ખરીદી કરવા આવતા હોય છે. દેશમાં આત્મ નિર્ભર ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ મળે તેમજ દિવાળીના તહેવારોમા શહેરીજનોને ખરીદી કરવા માટે સરળાત રહે તે હેતુસર 18 ઓક્ટોબર ધનતેરસ, 19 ઓક્ટોબર કાળી ચૌદશ અને 20 ઓક્ટોબર, દિવાળી એમ ત્રણ દિવસ માટે તમામ પ્રવાસીઓને AMTSમા મફત પ્રવાસનો લાભ આપવામાં આવશે. આ હેતુસર AMTS કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.