
દેશના દરેક નાગરિકને આધાર નંબર જારી કર્યાને 15 વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન, 142 કરોડથી વધુ આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ 8 કરોડથી વધુ લોકોના મૃત્યુ છતાં, ફક્ત 1.83 કરોડ કાર્ડ નિષ્ક્રિય થયા છે. આશરે 6 કરોડ મૃતકોના આધાર નંબર હજી એક્ટિવ છે. આનાથી બેંક છેતરપિંડી, ખોટા ખાતા અને સરકારી યોજનાના લાભોમાં ગોટાળા થવાનું જોખમ વધ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ના CEO ભુવનેશ કુમારના જણાવ્યા અનુસાર, UIDAI ને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા (RGI) તરફથી અત્યાર સુધીમાં 1.55 કરોડ મૃત વ્યક્તિઓનો ડેટા મળ્યો છે. નવેમ્બર 2024 અને સપ્ટેમ્બર 2025ની વચ્ચે, યાદીમાં વધારાના 38 લાખ લોકો ઉમેરવામાં આવ્યા છે. આમાંથી 1.17 કરોડ લોકોની ઓળખની પુષ્ટિ થઈ ગઈ છે અને તેમના આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. ઓથોરિટીનો અંદાજ છે કે ડિસેમ્બર સુધીમાં 2 કરોડ કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
UIDAIએ ચાર મહિના પહેલા પોતાની વેબસાઇટ પર મૃત્યુ સૂચના પોર્ટલ શરૂ કર્યું હતું જેથી પરિવારના સભ્યો મૃતકના આધારને ઓનલાઈન નિષ્ક્રિય કરાવી શકે. અત્યાર સુધીમાં ફક્ત 3,000 લોકોએ આ માહિતી જણાવી છે, જેમાંથી ફક્ત 500 કેસની પુષ્ટિ થઈ છે અને તેમના કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે., UIDAIના CEO કહે છે કે મૃત્યુ નોંધણી હજુ પણ ખૂબ જ કેઝ્યુઅલ છે, ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, “આધાર 2010 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, 2016 થી આશરે 8 કરોડ આધાર ધારકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે. સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમથી ફક્ત 25 રાજ્યોના આંકડા મળે છે. બાકીના રાજ્યોમાંથી ડેટા મેળવવાનું કામ ચાલુ છે.” તેમણે વધુમાં સમજાવ્યું કે જ્યારે આધાર જારી કરવાનું શરૂ થયું ત્યારે દેશમાં વાર્ષિક મૃત્યુ દર લગભગ 56 લાખ હતો. ત્યારથી આ આંકડો વધીને 85 લાખ થઈ ગયો છે. તેથી, અમે 2016 થી 8 કરોડ મૃત્યુનો અંદાજ લગાવી રહ્યા છીએ. મૃત્યુ નોંધણી અત્યંત કેઝ્યુઅલ છે.