
રાજ્યમાં ગંભીરા બ્રીજની ઘટના બાદ તમામ બ્રિજને તપાસવામાં આવ્યા હતા. જેમાં કેટલાક બ્રિજ જર્જરીત હોવાનુ સામે આવતા બંધ કરવામાં આવ્યા છે. તપાસમાં દહેગામ-નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે આવેલો બ્રિજ પણ જર્જરીત હોવાનુ સામે આવતા તેને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. પરંતુ હવે ડાયવર્ઝન વાળા રાયપુર, વીરાતલાવડી, વજાપુરા અને ડભોડાને જોડતો રોડ ભારે વાહનોના કારણે ખાડાઓમાં ગરકાવ થઇ ગયો છે. જેથી રોડની મરામત કરવા સ્થાનિક વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.
રાજ્યના પાટનગરની અંદરના રોડને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કેટલાક ગામમાં તો ચોપડા ઉપર અનેક વખત રોડ બની જાય છે. રોડ રસ્તા ભંગાર હોવાના કારણે નાગરિકોની સમય બગડે છે, તે ઉપરાંત વાહનોનુ આયુષ્ય ઘટે છે. ત્યારે ગાંધીનગરના રાયપુરથી, વીરાતલાવડી, વજાપુરા અને ડભોડાને જોડતા રોડ ઉપર હાલમાં ભારે ભરખમ વાહનો દોડી રહ્યા છે. દહેગામ-નરોડા હાઇવે ઉપર રાયપુર પાસેનો બ્રિજ જર્જરીત જાહેર કરતા તેને બંધ કરવામાં આવ્યો છે. જેથી તંત્રએ ડાયવર્ઝન આપતા ચાર ગામમાં થઇ વાહનો નરોડા તરફ જતા હોય છે.
આ સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના સિંગલ પટ્ટી રોડ ઉપર ભારે વાહનો પસાર થતા રોડ ઉપર ખાડા નહિ પરંતુ ખાડામાં રોડ ગરકાવ થઇ ગયો છે. રોડ ઉપર કાકરી ઉડવાના કારણે ટુ વ્હીલર સ્લીપ ખાઇ જવાના બનવો પણ સામે આવી રહ્યા છે. જેથી આ રોડને નવો બનાવવામાં આવે અને ભારે વાહનો પસાર થાય તો પણ તેની કાંકરી પણ ખરે નહિ તેવો બનાવવાની માગ છે.