
અમદાવાદ શહેરના તળાવો અને ગાર્ડનને શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યાં છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવને રૂ. 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે તળાવને નિહાળી શકાય તેના માટે ત્રણ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. વસ્ત્રાપુર તળાવમાં એન્ટ્રી મેળવતાની સાથે જ આકર્ષક ફુવારાનો નજારો જોવા મળશે. વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ માટે રૂ. 10 એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જો કે, સવારે મોર્નિંગ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વર્ષ 2003માં ઔડા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે નાગરિકોની સુવિધા માટે અદ્યતન ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. વહેલી સવારે અને સાંજે નાગરિકો મોર્નિંગ કરી શકે તેના માટે 950 મીટરનો ટ્રેક બનાવવામાં આવ્યો છે. 250 ચોરસ મીટરનો પેટ ડોગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. ત્રણ એન્ટ્રી ગેટ છે જેમાં ફુવારા મુકવામાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા વસ્ત્રાપુર તળાવ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા તળાવ એન્ડ ગાર્ડન તરીકે નામ આપવામાં આવશે. જે ત્રણ ગેટ લગાવવામાં આવ્યા છે તેના નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં નરસિંહ મહેતા ગેટ, કલ્યાણપૃષ્ટી હવેલી ગેટ અને શહિદ ચોક ગેટનો સમાવશ થાય છે. કોઇપણ ગેટથી પ્રવેશતા પહેલાં જ નાગરીકોને ફુવારાની શિતળતાનો સ્પર્શ થશે. તળાવમાં લીલ થાય નહીં અને ઓક્સિજન ઘટે નહીં તેના માટે 3 સ્થળે એરેટર લગાવ્યા છે. સિનિયર સિટીઝનોના બેસવા માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. વસ્ત્રાપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઈનો પણ તળાવમાં નાખવામાં આવેલી છે. 5 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યો છે જેથી ખરાબ પાણીને શુદ્ધ કરીને તળાવમાં પાણી ભરી શકાય. સાથે સાથે અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને વેગ મળે તે ઉદ્દેશ સાથે ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે AMCના દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 618.27 કરોડનાં ખર્ચે 15 કામોનું લોકાર્પણ થશે. આ સાથે સાથે 2 આવાસોના ડ્રો પણ યોજાશે, જેમાં રૂ. 127.67 કરોડનાં આવાસ સંબંધિત કામોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રૂ. 540.78 કરોડનાં ખાતમુહૂર્ત અને 13 કામોનાં ખાતમુહૂર્ત પણ થશે. આમ, આ વિસ્તારમાં કુલ મળીને રૂ. 1286.72 કરોડના ખર્ચે 30 કામો અને વિકાસ પ્રકલ્પોનો જાહેર જનતાને સમર્પિત થશે. જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 273.94 કરોડના ખર્ચે 15 કામોનું લોકાર્પણ થશે. જ્યારે રૂ. 835.11 કરોડના ખર્ચે 23 કામોના ખાતમુહૂર્ત પણ થશે. આમ, આ વિસ્તારમાં રૂ. 1109.05 કરોડનાં ખર્ચે કુલ 38 જેટલા કામો અને પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. આમ, બંને લોકસભા વિસ્તારોને મળીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 2395.77 કરોડના ખર્ચે સંભવિત 68 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. આ પ્રોજેક્ટ્સ થકી આગામી દિવસોમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સુવિધાઓ, ડ્રેનેજ, માર્ગ, પાર્ક તેમજ હરિત વિકાસ સહિતના ક્ષેત્રોમાં વિકાસ જોવા મળશે