
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા શહેરમાં મુખ્ય જંક્શનના સર્વે કરી ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. શહેરના લો-ગાર્ડનથી પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિદ્યાલય સુધી L આકારમાં 780 મીટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. રૂપિયા 98 કરોડના ખર્ચે બનતા આ બ્રિજની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ બ્રિજની કામગીરીને લઈ ત્રણ તબક્કામાં રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આંબાવાડીથી લઈ સીએન વિદ્યાલય તરફનો રોડ બંધ કરાયો છે. ગુજરાત ST બસ, ખાનગી ટ્રાવેલ્સો, AMTS અને અન્ય ભારે વાહનોને પાલડી બસ સ્ટેન્ડથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરનો વૈકલ્પિક રૂટ અપનાવાનો રહેશે. બ્રિજની કામગીરીને લઈ રસ્તા પર પતરા લગાવી દેવામાં આવ્યા છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લો-ગાર્ડનથી પંચવટી થઈ આંબાવાડી સર્કલ થઈ CN વિદ્યાલય સુધી 98.18 કરોડના ખર્ચે આ બ્રિજ દોઢ વર્ષમાં તૈયાર થશે. બ્રિજ બન્યા બાદ રોજના દોઢ લાખ કરતા વધુ વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. જેમાં 69 હજાર જેટલા ટુવ્હીલર અને 31 હજાર જેટલી ફોર વ્હીલર આ રૂટ પરથી પસાર થતી હોવાથી બ્રિજ બન્યા બાદ તેમને ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવામાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત 13 હજાર જેટલી રિત્રા પણ આ રૂટ પરથી જ પસાર થતી હોવાથી તેમને પણ રાહત મળશે. આ બ્રિજ 17 મીટર પહોળો અને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરાશે.