થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા:નાયબ કલેક્ટરની ટીમે કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવી

Spread the love

 

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત થાનગઢના સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આવેલા સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 231 કોમર્શિયલ દુકાનો, 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં બનેલી “આશાપુરા હોસ્પિટલ” અને 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે.
આ દબાણો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો કરીને કરવામાં આવ્યા હતા. થાનગઢ મામલતદાર દ્વારા દબાણકર્તાઓને 6 ઓગસ્ટ, 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ તેનું પાલન કર્યું ન હતું, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણદારો દ્વારા કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યાઓનું ભાડું ઉઘરાવવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થાનગઢ, અમરાપર અને સોનગઢ ગામની નગરપાલિકાને અડીને આવેલી આ 52-00 ગુઠા સરકારી જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 210 કરોડ 26 લાખ રૂપિયા છે. ખુલ્લી થયેલી આ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ અને જાળવણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *