કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. શાસન-પ્રશાસન ઉપરાંત તમામ સંસ્થાઓ અને જાણીતી હસ્તીઓએ પણ વૈશ્વિક સંકટ સામે લડવા મદદ માટે આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં શિરડીનાં સાઈંબાબા મંદિર પ્રશાસને પણ કોરોનાની જંગમાં આર્થિક મદદ માટે હાથ આગળ લંબાવ્યો છે.
કોરોનાની વિરુદ્ધ લડાઈમાં મહારાષ્ટ્રમાં સરકારની મદદ માટે શિરડી સાઈંબાબા મંદિર પ્રશાસને મુખ્યમંત્રી રાહત કોષમાં 51 કરોડ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનાં કારણે ગત 17 માર્ચથી શિરડી સાઈંબાબા મંદિર શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ રીતે બંધ છે. મહારાષ્ટ્ર ભારતમાં કોરોનાનાં કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં 125 લોકો કોરોનાથી પ્રભાવિત છે, જ્યારે 5 લોકોનાં વાયરસનાં સંક્રમણથી મોત થઈ ગયા છે.
સાઈંબાબા મંદિર ઉપરાંત આ સંકટ સામે લડવામાં મહારાષ્ટ્રનાં તમામ સાંસદો અને ધારાસભ્યોએ પણ મદદ કરી છે. તમામે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત કોષમાં આપવાનો નિર્ણય કર્યો છે. જો કે કોરોનાને લઇને થોડાક રાહતનાં સમાચાર પણ છે. આજે કોવિડ-19થી દેશભરમાં કુલ 7 જીવ ગયા હતા અને આ વાયરસથી સંક્રમણનાં 88 નવા કેસ સામે આવ્યા હતા.
આજે અત્યાર સુધી જે કેસ સામે આવ્યા છે એ ગઇકાલની તુલનામાં ઓછા છે. આજ સવારથી અત્યાર સુધી સરકાર અનુસાર લગભગ 30 કેસ સામે આવ્યા છે. આવામાં કોરોનાનાં કેસમાં ઘટાડાથી રાહત મળી છે. આ જીવલેણ વાયરસે અત્યાર સુધી 17 લોકોનો ભોગ લીધો છે.