ઘેડ વિસ્તારમાં પુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓઝત નદીને ઉંડી અને પહોળી કરવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરીશુ – મોઢવાડિયા
ગામોમાં તળાવો નથી ત્યાં મોટા પાયે તળાવો બનાવવામાં આવે જેથી ચોમાસાના પાણીનો આ તળાવોમાં સંગ્રહ કરી શકાય અને તે પાણીનો શિયાળા દરમિયાન ઉપયોગ કરી શકાય તેમ છે : મોઢવાડિયા
ખેડૂતોને જમીન સમથળ કરવા માટે અને જ્યાં પાક નિષ્ફળ ગયો છે ત્યાં સર્વે કરી સરકાર તત્કાલ સહાય ચુકવે, તેમજ જે લોકોને પુરના કારણે કામધંધો નથી મળ્યો તેમને ઓછામાં ઓછી 20 દિવસની કેશડોલ ચુકવવામાં આવે
અમદાવાદ
આજે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધી મંડળે ઘેડ વિસ્તાર (જુનાગઢ, પોરબંદર જિલ્લા) ના ગામોની મુલાકાત લઈને પુરથી થયેલ નુકશાનની સમીક્ષા કરી અને લોકોની રજુઆતો સાંભળી. મુલાકાત બાદ ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ પંથકમાં દર વખતે ચોમાસમાં સર્જાતી પુરની સ્થિતી સર્જાય છે, તેમજ શિયાળા અને ઉનાળામાં પાણીની અછત રહે છે. જેનું મુખ્ય કારણ છે કે, ઓઝત નથી સાંકડી થઈ જવાથી કુદરતી રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી. એટલે ઓઝત નદીને તાકીતે ફરી કુદરતી રીતે હતી તેટલી ઉંડી અને પહોળી કરવામાં આવે તો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે. તેમજ જે ગામોમાં તળાવો નથી ત્યાં મોટા પાયે તળાવો બનાવવામાં આવે જેથી ચોમાસાના પાણીનો આ તળાવોમાં સંગ્રહ કરી શકાય અને તે પાણીનો શિયાળા દરમિયાન ઉપયોગ કરી શકાય તેમ છે, આ અંગે અમે સરકારમાં ઉગ્ર રજુઆત કરીશું. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર પંથકમાં અત્યારે પુરના કારણે ખેડૂતોને જે મોટાપાયે નુકશાન થયુ છે ત્યાં ખેડૂતોને જમીન સમથળ કરવા માટે અને જ્યાં પાક નિષ્ફળ ગયો છે ત્યાં સર્વે કરી સરકાર એસ.ડી.આર.એફ. યોજના હેઠળ તત્કાલ સહાય ચુકવે. તેમજ જે લોકોને પુરના કારણે કામધંધો નથી મળ્યો તેમને ઓછામાં ઓછી 20 દિવસની કેશડોલ ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી, પુર્વ ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા અને પ્રદેશ કોંગ્રસ સમિતિના ઉપપ્રમુખશ્રી હીરાભાઈ જોટવા સહિતના આગેવાનો જોડાયા.