શિક્ષક વિના જ બાળકોને ભણાવવાનું નમૂનેદાર કામ મહાનગરપાલિકાની ૫ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં થઇ રહ્યું છે. શહેરની ૫ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૨૦૦ જેટલા બાળકો ધોરણ-૧થી ૩માં અભ્યાસ કરે છે જેની સામે શિક્ષક એકપણ નથી. અગાઉ પ્રવાસી શિક્ષકો અભ્યાસ કરાવતા હતા, હાલ એ પણ નથી. શાળાઓ ખુલ્લાને દોઢ માસ જેટલો સમય થવા છતાં શિક્ષકોની ભરતી નહી કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૫ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ ૫ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી છે.સરકારી વ્યવસ્થામાં ઇંગ્લિશ મીડિયમની શરૂઆત થતા વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે પ્રવેશ લીધો છે. જાેકે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-૧થી ૫ અંગ્રેજી માધ્યમની શાળાની મંજુરી આપી છે. પરંતુ શિક્ષકો ભરવામાં નહી આવતા વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી પ્રવાસી શિક્ષકોથી શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી. છેલ્લા બે વર્ષથી તો પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પરંતુ ચાલુ વર્ષે સત્ર શરૂ થયું ત્યારથી પ્રવાસી શિક્ષકો પણ લેવામાં આવ્યા નથી.નિયમિત શિક્ષકો લેવાને બદલે સિનિયર અને જુનિયર કે.જી.ના શિક્ષકોને ધોરણ-૧થી ૩ના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરાવવાનું ફરમાન કરાયું છે પરંતુ તેનાથી ગુણવત્તાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્યના પાટનગરની અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ હાલમાં શિક્ષકો વિના જ શિક્ષણ મેળવી રહ્યા છે.
નગરની સેક્ટર-૨૪ સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા નંબર-૧, સેક્ટર-૧૩ સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, સેક્ટર-૨૯ સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, બાસણ સરકારી અંગ્રેજી માધ્યમક પ્રાથમિક શાળા, ઇન્દ્રોડા સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકોના અભાવ વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે.મહેકમ મુજબ ૭ શિક્ષક હોવા જાેઇએ, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના મહેકમ મુજબ ૩૦ વિદ્યાર્થીઓએ એક શિક્ષક ભરતી કરવામાં આવે છે. જ્યારે નગરની ૫ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં હાલમાં અંદાજે ૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આથી ૭ શિક્ષકોની જરૂર પડે પરંતુ તેની સામે હાલમાં એકપણ શિક્ષક નથી. બાળકોની કારકિર્દી સાથે ચેડાં કરવાનું બંધ કરો ઃ વિપક્ષ નેતા અંકિત બારોટ, મહાનગર પાલિકામાં મોટા ઉપાડે શરૂ કરાયેલી પાંચ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧થી ૩ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ એકપણ શિક્ષકની ભરતી કરી નથી. પરંતુ હાલમાં વિદ્યાર્થીઓને જુનિયર અને સિનિયર કેજીના શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા હોવાથી બાળકોની કારકિર્દી સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું ગાંધીનગર મહાનગર પાલિકાના વિપક્ષના કોર્પોરેટર અંકિત બારોટે જણાવ્યું છે. બારોટે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે.