મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાશે
ગાંધીનગર
પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૭ અને ૨૮જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાન શ્રી સૌરાષ્ટ્રવાસીઓને અનેક વિકાસકામોની ભેટ ધરશે.વડાપ્રધાનનાં સંભવિત કાર્યક્રમ મુજબ વડા પ્રધાનનાં હસ્તે તા.૨૭ જુલાઈના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૨૩૪ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે.જેમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી સ્ટીલની પાઇપલાઇન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અદ્યતન લાઈબ્રેરી,નવુ આરોગ્ય કેન્દ્ર, કેકેવી ફ્લાયઓવર બ્રીજની શહેરીજનોને ભેટ આપશે. આ જ દિવસે રૂ.૧૨૯.૫૩.કરોડનાં ખર્ચે તૈયાર થયેલ બ્રીજની ઉપર બ્રીજ એટલે કે.કે.વી.બ્રીજ બ્રીજનું પણ લોકાર્પણ કરાશે.અંદાજિત બે લાખ જેટલા નાગરિકોને સરળ પરિવહનનો લાભ મળશે જેના પરિણામે ટ્રાફિકના યોગ્ય નિયમન થકી સમય, શક્તિ, ઈંધણ અને નાણાનો બચાવ થશે. જ્યારે તા. ૨૭મી જુલાઈના રોજ રાજયના સૌ પ્રથમ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કે જે રૂ.૧,૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ થયું છે એનું પણ લોકાર્પણ કરાશે.૨૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલ આ પેસેન્જર ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે ૧,૨૮૦ મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીના હસ્તે તા.૨૭ના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન “સૌની’’ યોજનાના લીંક ૩ના પેકેજ-૮ અને પેકેજ–૯નું લોકાર્પણ કરાશે. અંદાજિત રૂ. ૩૯૩.૬૭ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના ૫૨,૩૦૦ એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી તેમજ અંદાજિત ૧ લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે. નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૮ જુલાઈના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાશે. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર જનતા માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.આ સેમીકોન ઈન્ડીયા થકી સેમીકન્ડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલી દિગ્ગજ કંપનીઓ સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩માં આવશે અને નવી નવી તકનીકો અને આયામોનો લાભ ગુજરાતને મળશે .