અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૬ ઓગસ્ટ રવિવારના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ અને અસારવા સ્ટેશનનો ઈ – શિલાન્યાસ કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા સ્ટેશનને ઉપસ્થિત રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના ૧૩૦૯ રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્મિત કરવામાં આવી રહ્યા છે, તેમાંથી ૧૨૦ સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટ, 2023ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ભારતીય રેલવેના 500થી વધુ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અસારવા, પાલનપુર, કલોલ, નવા ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર, વિરમગામ અને ધ્રાંગધ્રા સ્ટેશનનો શિલાન્યાસ કરશે.પશ્ચિમ રેલવેના આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં અમદાવાદ મંડળના કુલ 16 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ અને અમદાવાદ જિલ્લાના અસારવા, મણિનગર, ચાંદલોડિયા, વટવા અને વિરમગામ સ્ટેશનનો સમાવેશ થાય છે.અમદાવાદ અને અમદાવાદ જિલ્લાના સ્ટેશન મુજબ અંદાજિત ખર્ચની વાત કરીએ તો અસારવા 25 કરોડ 32 લાખ, મણિનગર 10 કરોડ 26 લાખ ચાંદલોડિયા (A+B) 48 કરોડ 18 લાખ, વટવા 29 કરોડ 63 લાખ, વિરમગામ 39 કરોડ 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને ટ્રાન્સફોર્મેશન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશનો ગુજરાતમાં,16 સ્ટેશન મહારાષ્ટ્રમાં, 15 સ્ટેશન મધ્યપ્રદેશમાં અને 2 સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં નવનિર્માણ પામશે.