બાળકોને લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમની એક ખંડપીઠે એવું કહ્યું કે અમાન્ય અને રદબાતલ લગ્નથી જન્મેલા બાળકોને પણ માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર મળશે. આવા બાળકોને કાયદેસર કાનૂની વારસો સાથેનો હિસ્સો પણ મળશે.
2011થી પેન્ડીંગ પડેલી એક અરજીનો નિકાલ કરતાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ આ ચુકાદો આપ્યો હતો. હિન્દુ મેરેજ એક્ટની કલમ 16(3)માં જણાવાયું છે કે, અમાન્ય અને રદબાતલ લગ્નથી જન્મેલા બાળકોને માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર નથી હોતો. આ મામલે 2011ની સાલમાં એક અરજી કરાઈ હતી જેની પર આજે સુપ્રીમમાં સુનાવણી ચાલી હતી. કોર્ટે એ નક્કી કરવાનું હતું કે અમાન્ય અને રદબાતલ લગ્નથી જન્મેલા બાળકોનો હિન્દુ કાયદા મુજબ માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર છે કે નહીં. તેમજ જો પિતાના મૃત્યુ પહેલા માતા-પિતા બંને અલગ થઈ જાય તો આવી સ્થિતિમાં જન્મેલ બાળકને પિતા પક્ષની વારસાગત મિલકત મળવાપાત્ર થશે કે નહીં?
જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આવા બાળકને માતા-પિતાની વારસાગત મિલકત જ આપવામાં આવશે. જો કે ઘણા હિન્દુ પરિવારોમાં હિન્દુ કૌટુંબિક કાયદા મુજબ દાદી-કાકાની મિલકત પણ બાળકને આપવામાં આવી હતી, પરંતુ આજના નિર્ણય મુજબ આવા બાળકને તેના દાદા-દાદી પાસેથી વારસામાં મળેલી મિલકત જ મળશે, માતા-પિતા સિવાય અન્ય કોઈ સગાની નહીં.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટે આ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટ સમક્ષ સવાલ હતો કે શું હિંદુ લગ્ન અધિનિયમની કલમ 16(3) હેઠળ રદબાતલ થયેલા લગ્નમાંથી જન્મેલા બાળકોનો હિસ્સો માત્ર તેમના માતા-પિતાની સ્વ-સંપાદિત મિલકત સુધી મર્યાદિત છે.
હિંદુ લગ્ન એક્ટ 1955ની કલમ 16(3)ની વ્યાખ્યા મુજબ અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને કાયદેસરતા આપવામાં આવે છે. જોકે કલમ 16(3) કહે છે કે, આવા બાળકોને માત્ર તેમના માતા-પિતાની સંપત્તિ વારસામાં મળશે પણ તેમના પૂર્વજોની સંપત્તિમાં કોઈ અધિકાર નહીં માંગી શકે.