ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ લેવાની જવાબદારી 1500 જેટલા લોકોને સોંપી હતી. જેમાં દરેક બેઠક માટે 3 નિરીક્ષક મોકલ્યા હતા, જેમાં 1 મહિલાનો પણ સમાવેશ કરાયો હતો.
ભાજપ 90.5 ટકા બેઠકો જીત્યું આ નિર્ણય વિશે માહિતી આપતા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રિપીટ થિયરી અપનાવાઈ છે. ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે. એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. સામાન્ય બેઠક પર સામાન્ય વર્ગમાંથી આવતા લોકોને પ્રાયોરિટી અપાશે.
દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. કાર્યકર વિરુદ્ધ થયેલા આક્ષેપની ચકાસણી કરવામાં આવશે. આજે ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં પારદર્શી રીતે આ અંગે મંથન કરવામાં આવશે.