નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલીસ્તાની સમર્થકો પોતાના ઝંડા સાથે ઘૂસીને પોતાનો મનસુખો પૂરો પાડશે તેવો પ્રિ- રેકોર્ડેડ મેસેજ વહેતો કર્યો હતો. આ બધાની વચ્ચે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ પણ આતંકીને ઘૂંટણીએ પાડવા માટે તપાસ એજન્સીઓ એક બનીને કામ કરી રહી છે, તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે પોલીસ ફરિયાદ નોંધી છે, હવે આ કેસમાં સાયબર ક્રાઇમની સાથે દેશની દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે. જેમાં NIA, રો , સેન્ટ્રલ આઈબી પણ જોડાશે જે માટે સત્તાવાર કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે સાઇબર ક્રાઈમના ડીસીપી અજીત રાજીયાણે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ એજન્સીઓ સાઇબર ક્રાઈમ સાથે મળીને કામ કરશે.
ભારતમાં આગામી દિવસોમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થવા જઈ રહી છે, આ વર્લ્ડકપ પર ખાલીસ્તાની સમર્થકે રેકોર્ડેડ કોલ કરાવીને પોતાનો ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ કોલ વિદેશની ધરતી પરથી થયા હતા અને તેની પાછળ આતંકીઓનો ખૂબ જ ખરાબ મનસૂબો હોય તેવી શક્યતાના આધારે કોઈ પણ કચાસ છોડવામાં ન આવે તે માટે દેશની સુરક્ષા એજન્સીઓએ કમર કસી લીધી છે.
અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની મેચોને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી. તેણે ધમકીમાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે. અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં. પન્નુના વાઇરલ થયેલા ઓડિયો મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાઈ છે.
સાયબર ક્રાઈમે નોંધેલી ફરિયાદ પ્રમાણે પન્નુનો એક પ્રિ-રેકોર્ડેડ ફોન કોલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે પ્રિ-રેકોર્ડેડ વોઈસ કોલ વિદેશમાં રહી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા શખસોએ ભારતના નાગરિકોમાં ભય ફેલાવવા કોલ કર્યા હતા. આવા કોલથી ભારતના શીખ સમુદાયના લોકો અને ભારતના અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરીને દેશની એકતાને નુકસાન પહોંચાડી આતંકવાદી પ્રવૃત્તિ કરવાના ઇરાદે કોલ કર્યા હતા. પન્નુએ ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા જુદા વીડિયો અને ટીપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી હતી.