સચિવાલયના એક સાહેબ પૈસા લઈ કાયમી નોકરી અપાવશે કહી ભેજાબાજે 27 નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.43 કરોડની ઠગાઈ આચરી , ચાંદખેડાનો ઝેરોક્ષ વાળો લૂંટાયો

Spread the love

ગાંધીનગર નવા સચિવાલય ખાતે ઝેરોક્ષ મશીન ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા ભેજાબાજે સરકારી નોકરીની લાલચ આપીને 27 નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.43 કરોડની ઠગાઈ આચરી છે. નાણાં વસૂલ્યાના દોઢ વર્ષ સુધી નોકરી કે એપોઈન્ટમેન્ટ લેટર નહીં મળતા મામલો સેકટર-7 પોલીસ મથકે પહોંચ્યો છે. ઝેરોક્સ મશીનના મેન્ટેનન્સનું કામ કરનારા પરિચિતને વચ્ચે રાખી લોકો પાસેથી જંગી રકમ પડાવ્યા બાદ ગઠિયાનો પત્તો નહીં મળતા મધ્યસ્થી કરનારા યુવકે 27 નોકરીવાંચ્છુઓ સાથે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ ચાંદખેડામાં રહેતા અમિતભાઈ મહેન્દ્રકુમાર ભાવસારે સેકટર-7 પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 2005ના વર્ષમાં તેઓ ઝેરોક્સ મશીનની સર્વિસ-મેન્ટેનન્સની કંપનીમાં કામ કરતા હતા. આ કંપનીએ ગાંધીનગરના સે-11 ખાતે આવેલી એક દુકાનમાં ઝેરોક્સ મશીન કરવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ દુકાનમાં અમિતભાઈની મુલાકાત શૈલેષભાઈ ભીખાભાઈ ઠાકોર સાથે થઈ હતી. સમય જતાં તેમના સંબંધો ગાઢ થયા હતા અને 2018માં શૈલૈષે નવા સચિવાલયના બ્લોક નં-14માં પાંચમા માળે અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં ઝેરોક્સ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. શૈલેષે જૂના સંબંધના નાતે આ મશીનના મેન્ટેનન્સનું કામ અમિતભાઈને અપાવ્યું હતું.

જ્યારે તા. 7-10-2020ના રોજ શૈલેષે અમિતભાઈને

ફોન કરીને મળવા બોલાવ્યા હતા અને જીએસપીસીમાં

ક્લાર્કની ચાર જગ્યા ખાલી હોવાની માહિતી આપી હતી.

સચિવાલયના એક સાહેબ પૈસા લઈ કાયમી નોકરી

અપાવશે તેવો વિશ્વાસ શૈલેષે આપ્યો હતો. અમિતભાઈએ

શૈલેષની વાતોમાં આવીને સેટેલાઈટ ખાતે ઝેરોક્સની દુકાન

ધરાવતા દીપક સાથે વાત કરી હતી. દીપક, દીપકના પિતા

અને શૈલેષ વચ્ચે સચિવાલયના બ્લોક નં-14 ખાતે રૂબરૂ

મુલાકાત થઈ હતી. તેમાં શૈલેષે દાવો કર્યો હતો કે, દર વર્ષે

બે-ત્રણ માણસોને પાંચ લાખમાં સરકારી નોકરી અપાવે

છે. તાજેતરમાં અમદાવાદમાં જીએસપીસી ખાતે વર્ગ-3માં

ક્લાર્કની ચારેક જગ્યા ખાલી છે. આ નોકરી જોઈતી હોય તો

પાંચ લાખમાં ગોઠવી આપવાનું નક્કી થયું હતું. આ પૈકીના

રૂ.દોઢ લાખ પહેલા અને બાકીના નોકરીનો ઓર્ડર આવ્યા

પછી આપવાના હતા.

આ સિવાય અન્ય સારી જગ્યા પર નોકરી જોઈતી હોય તો રૂ.6 લાખના ખર્ચની વાત કરી શૈલેષે વિશ્વાસ સંપાદન કર્યો હતો. દીપકભાઈએ રૂ.દોઢ લાખ આપ્યા હતા અને છ માસમાં નોકરીનો ઓર્ડર મળવાની ખાતરી આપી હતી. શૈલેષે અન્ય માણસોને પણ નોકરી અપાવવાની વાત કરી હતી. જેમાં વર્ગ-3માં નોકરી માટે રૂ.પાંચ લાખ, ડ્રાઈવરની નોકરી માટે રૂ.4 લાખ, પટાવાળાની નોકરી માટે વ્યક્તિ દીઠ રૂ.બે લાખનો ભાવ તેણે જણાવ્યો હતો. જીએસપીસીમાં ફરજ બજાવતા દીપક પાટડિયા અને દિલ્હી ખાતે ફરજ બજાવતા આઈએએસ રૂપેશ મિશ્રા નોકરી અપાવવાનું કામ કરી આપશે તેવો વિશ્વાસ શૈલેષે અપાવ્યો હતો. આ બંને અધિકારીઓની વાત તે વારંવાર કરતો હતો.

પરંતુ મુલાકાત કરાવી ન હતી. શૈલેષની વાતોમાં આવી જઈ અમિતભાઈએ 27 પરિચિતો પાસેથી રોકડા, ચેક અને યુપીઆઈ મારફતે રૂ.1.43 કરોડ અપાવ્યા હતા. શૈલેષે એક પણ વ્યક્તિને નોકરી નહીં અપાવતા અમિતભાઈ જીએસપીસીની ઓફિસમાં દીપક પાટડિયાને મળવા ગયા હતા, પરંતુ આવી કોઈ વ્યક્તિ મળી ન હતી. શૈલેષે આ મામલે ગોળ-ગોળ જવાબો આપીને ફરી થોડો સમય માગ્યો હતો. દોઢ વર્ષ સુધી કોઈ વ્યક્તિને નોકરી મળી ન હતી.

બીજી બાજુ પરિચિતોએ અમિતભાઈ પાસે નાણા પરત માગ્યા હતા. આ પૈકી કેટલાક લોકોને રૂ.15.75 લાખ રૂપિયા પરત ચૂકવવા અમિતભાઈએ ઊછીના નાણાં લીધા હતા. વારંવાર શૈલેષનો સંપર્ક કરવા તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ સેકટર-5 ખાતે આવેલું પોતાનું મકાન બંધ કરીને શૈલેષ જતો રહ્યો હતો. શૈલેષ અને તેની પત્નીના ફોન પણ બંધ આવતા હતા. આખરે આ મામલે અમિતભાઈએ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *