મધ્ય ચિલીના ધધકતા જંગલમાં ભડકેલા દાવાનળથી મૃતકોની સંખ્યા વધતી વધતી 99 સુધી પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે ચેતવણી ઉચ્ચારી કે આ સંખ્યા વધી શકે છે. કારણ કે ટીમો નષ્ટ થયેલા વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ (104 ડિગ્રી ફોરેનહીટ) સુધી પહોંચવાની સાથે ભીષણ ગરમીની લહેર વચ્ચે બચાવકર્મીઓ વાલપરાઈસોના તટીય પર્યતક વિસ્તારમાં આગ સામે લડી રહ્યા છે.
ચિલીના મધ્ય ક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગથી રવિવારે ફાયર વિભાગના કર્મીઓએ ખુબ ઝઝૂમવું પડ્યું. પ્રશાસને આગથી ગંભીર રીતે પ્રભાવિત અનેક શહેરોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. વિના ડેલ માર શહેરની આજુબાજુ આગ સૌથી વધુ જોવા મળી છે જ્યાં 1931માં સ્થાપિત એક પ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન રવિવારે આગની જ્વાળાની લપેટમાં આવી ગયો. આગના કારણે ઓછામાં ઓછા 1600 લોકો બેઘર થઈ ગયા. વિના ડેલ મારના પૂર્વ ભાગના અનેક વિસ્તાર આગની લપેટો અને ધૂમાડાથી ઘેરાઈ ગયા છે. જેનાથી કેટલાક લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે વિના ડેલ માર અને આજુબાજુના વિસ્તારમાં લગભગ 200 લોકો ગૂમ થયાના સમાચાર છે. લગભગ 3 લાખની વસ્તીવાળા વિના ડેલ માર શહેર એક લોકપ્રિય સમુદ્ર તટ રિસોર્ટ છે અને ત્યાં દક્ષિણી ગોળાર્ધની ગરમીઓ દરમિયાન એક પ્રસિદ્ધ સંગીત સમારોહનું પણ આયોજન થાય છે. દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું કે આગના કારણે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કારણ કે વાલપરાઈસો વિસ્તારમાં ચાર સ્થળોએ ભીષણ આગ લાગી છે અને ફાયરકર્મીઓએ વધુ જોખમવાળા વિસ્તારો સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
બોરિકે ચિલીવાસીઓને બચાવકર્મીઓને સાથ આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જો તમને વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે તો આવું કરવામાં જરાય સંકોચ ન કરતા. આગ ઝડપથી ફેલાઈ રહી છે અને જળવાયુ સ્થિતિઓના કારણે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે. તાપમાન વધુ છે, પવન ખુબ છે અને ભેજ ઓછો છે. ચિલીના ગૃહમંત્રી કેરોલિના તોહાએ શનિવારે જણાવ્યું કે દેશના મધ્ય અને દક્ષિણના 92 જંગલ આગની ઝપેટમાં છે જ્યાં આ સપ્તાહે તાપમાન અસામાન્ય રીતે વધુ રહ્યું છે. વાલપરાઈસો વિસ્તારમાં સૌથી ભીષણ આગ લાગવાના કારણે પ્રશાસને લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાનું કહ્યું છે.