અમદાવાદ
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને ‘આપ’ના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા સતતને સતત અલગ અલગ શાળાઓની મુલાકાતો લઈને એ શાળાઓની સમસ્યાઓ જાણી હતી અને એના નિવારણ માટે સતત પ્રયત્નશીલ પણ છે.
તાજેતરમાં જ મહાનગરપાલિકામાં ભળેલી કેટલીક શાળાઓ પૈકીની શિક્ષણમંત્રીના પોતાના મતવિસ્તારમાં અને પોતાના શહેરમાં જ આવેલી કેટલીક શાળાઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોને બહાર બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. ઉમરા, ભરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા, વેગેરે વિસ્તારમાં આવેલી શાળાઓમાં ઓરડાની સંખ્યા જરૂરીયાત કરતાં ઓછી છે જેને કારણે બાળકોને બહાર બેસાડવા પડે છે અથવા તો એક વર્ગમાં એકથી વધુ ધોરણના બાળકોને બેસાડવા પડે છે. ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર લેબમાં, આચાર્યના રૂમમાં અથવા તો લોબીમાં બેસાડીને બાળકોને ભણાવવા પડી રહ્યા છે. આચાર્યો ઉપર શાસકોનું એટલું દબાણ છે કે આચાર્યો રજૂઆત પણ નથી કરી શકતાં. શિક્ષકો અને આચાર્યો જો વિપક્ષ અથવા મિડીયાને રજૂઆત કરે તો સત્તાધીશો એમને કોઈને કોઈ પ્રકારે પ્રતાડિત કરે છે.
રાકેશ હિરપરાએ શિક્ષણમંત્રીને વિનંતી કરી કે તમામ શાળાઓનો સર્વે કરીને જ્યાં પણ ઓરડાઓની ઘટ છે ત્યાં તાત્કાલિક ઓરડાઓ બનાવી આપવામાં આવે અને શિક્ષકો/આચાર્યો ઉપરનું અનૈતિક રાજકીય દબાણ દૂર કરવામાં આવે.