મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને આપી રૂ.૪૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, રૂ. ૯૭૮ કરોડથી નિર્મિત દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજ સુદર્શન સેતુનું લોકાર્પણ,ભગવાન શ્રી દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શારદાપીઠમાં  શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

Spread the love

જગતમંદિરમાં પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવતા મોદી,ગોમતી તટે સુદામા સેતુની પણ મુલાકાત લીધી

નરેન્દ્ર મોદીએ સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો

દરિયાની અંદર પ્રાચીન દ્વારિકા નગરીના અવશેષોને સ્પર્શ કરવાનું વર્ષો જૂનું મારું સ્વપ્ન પૂર્ણ થયું:વડાપ્રધાન

સરકાર દ્વારા ‘‘વિકાસ ભી, વિરાસત ભી’’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રોનું સંવર્ધન થઇ રહ્યું છે:ઓખા – બેટ દ્વારકા સુદર્શન સેતુ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડનારી ભેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દ્વારકા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઇ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટને કારણે નવા ભારતની નવી તસવીર બની છે. ભારતે આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ કંડાર્યો છે. જેનો સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના પ્રવાસન ઉપર પડ્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૫ લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૫.૫ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે.

પૌરાણિક નગરી દ્વારકા ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. ૪૧૦૦ કરોડના વિવિધ ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વડાપ્રધાનશ્રી સાથે જોડાયા હતા.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે. જે ઇશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગેરેંટી છે.

સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ છે, તેમ જણાવતા શ્રી મોદીએ ઉમેર્યું કે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઇએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પૂલ છે. સુદર્શન સેતુના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.

ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતા શ્રી મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા.

શ્રી મોદીએ એમ પણ કહ્યું કે, બેટ દ્વારકાના લોકો, શ્રદ્ધાળુંઓ ફેરી બેટ ઉપર નિર્ભર હતા, આ સમસ્યાના નિવારણ માટે અહીં એક પૂલ બનાવવા માટે જે તે સમયે કેન્દ્ર સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં, કામ કરવામાં આવતું નહોતું. પણ, ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું. જે પરમાત્માના આદેશનું પાલન કરી એ દાયિત્વને મે નીભાવ્યું છે. તેમણે સુદર્શન સેતુની વિશેષતાઓની વિસ્તુત માહિતી આપી હતી.

ભૂતકાળના શાસકોને આડેહાથ લેતા શ્રી મોદીએ જણાવ્યું કે, તેમણે માત્ર સત્તા બચાવવા માટે જ શાસન કર્યું હતું. દેશનું હિત વિચારવાના બદલે તેમણે માત્ર એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું છે. નાગરિકોની સુવિધા વધારવા માટે તેમની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી. ભૂતકાળના શાસકો દ્વારા માત્ર ગોટાળા જ કરવામાં આવ્યા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ ઉમેર્યું કે, દેશમાં ટેલીકોમની વિકાસ કરવાની વાત હતી ત્યાં ટુજી કૌભાંડ, રમતગમતના વિકાસને બદલે કોમન વેલ્થ કૌભાંડ, રક્ષાક્ષેત્રમાં હેલીકોપ્ટર અને સબમરિન કૌભાંડ કરી ભૂતકાળના શાસકો દ્વારા દેશની જરૂરિયાતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

૨૦૧૪માં જ્યારે શાસનધૂરા સંભાળી ત્યારે વાયદો કર્યો હતો કે હું દેશને લૂંટવા નહીં દઉં, તેમ જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક સત્તા બનવા સાથે નવ્ય-ભવ્ય કાર્યો થઇ રહ્યા છે.

દેશમાં થઇ રહેલા આઇકોનિક મેગા પ્રોજેક્ટનો સગૌરવ ઉલ્લેખ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, દેશની ચારેય દિશામાં વિકાસ કામો થઇ રહ્યા છે અને તેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોના વિકાસની ભૂમિકા આપતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવા તીર્થ સ્થાનોમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હેરિટેજ સિટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે, તો કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે. દ્વારકા નજીક શિવરાજપૂર બિચને પણ બ્લ્યુ ટેગ મળતા વિકાસ કરવામાં આવી રહ્યો છે. રણોત્સવ, નડાબેટ, ગીર અભયારણ્ય, ગિરનાર, એસઓયુ, લોથલ જેવા સ્થળો ભરપૂર વિકસ્યા છે. અમારી સરકાર દ્વારા ‘‘વિકાસ ભી, વિરાસત ભી’’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રોનું સંવર્ધન થઇ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં એક સમયની પાણીની અછતને યાદ કરાવતા શ્રી મોદીએ સૌની યોજના વિશે કહ્યું કે, આ યોજના થકી મા નર્મદાના જળથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિંચાઇ તથા પીવાનું પાણી પહોંચ્યું છે. તેના કારણે ખેડૂતો, પશુપાલકો, સાગરખેડૂઓ આર્થિક રીતે સંપન્ન થયા છે. સૌરાષ્ટ્રની ધરતી સંકલ્પથી સિદ્ધિની પ્રેરણા આપે છે, તેમ જણાવતા શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાત સમૃદ્ધિના શીખરે પહોંચશે. વિકસિત સૌરાષ્ટ્ર થકી, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનશે.

વડાપ્રધાનશ્રીએ આ તકે દ્વારકા તીર્થ સ્થાને યાત્રાળુઓના મનમાં વસી જાય એવું સ્વચ્છ રાખવા માટે સ્થાનિકોને આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, કૃષ્ણભૂમિ દ્વારકાને મળેલી ઓખા – બેટ દ્વારકા સુદર્શન સેતુ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડનારી ભેટ બની રહેશે. વિકાસના નિતનવા કીર્તિમાન સાથે ભારતીય પ્રાચીન વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘‘વિકાસ ભી, વિરાસત ભી’’ ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકસી છે.

વડાપ્રધાનશ્રીના વડપણ નીચે દેશમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો અને સાંસ્કૃતિક ધરોહરોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાથી આપણી સદીઓની પ્રતીક્ષા વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કરી છે. એટલુ નહીં, મહાકાલધામ, કેદારનાથ, કાશિ વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રાધામોના અદ્યતન સુવિધાઓ કારણે યાત્રા વધુ સરળ બની છે.

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના વિકાસની ભૂમિકા આપતા તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ સોમનાથ તીર્થક્ષેત્રને વિશ્વખ્યાતિ અપાવ્યા બાદ હવે દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તજનો બેટ દ્વારકા પણ સરળતાથી દર્શન કરવા જઇ શકે તે સુદર્શન સેતુની મોટી ભેટ આપી છે.

સુદર્શન સેતુથી સ્થાનિકો માટે રોજગારી અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે અને પ્રવાસીઓની સંખ્યા પણ વધશે, એવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ અમૃતકાળને વિકાસનો કતર્વ્ય કાળ બનાવવા માટે જનશક્તિને વિકાસ સાથે જોડી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. ૨૦૪૭ સુધી વિકસિત ભારતના નિર્માણની દિશામાં આપણે પણ વિકસિત ગુજરાત થકી ઉત્તમ યોગદાન આપવા તેમણે દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના આ તબક્કામાં કુલ રૂ. ૫૨ હજાર કરોડના વિકાસ કામોની ભેટ સૌરાષ્ટ્રને મળી છે, આજનો વિકાસ ઉત્સવ નવા સિમાચિહ્ન સ્થાપિત કર્યા છે, તેમ મુખ્યમંત્રીશ્રી પટેલે સહર્ષ જણાવ્યું હતું.

ગુજરાતમાં કનેક્ટિવિટી અંગેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રવાસનને વેગ આપવા ગુજરાતમાં નાનામાં નાના ગામને સડક માર્ગથી જોડવા સાથે સ્પીડ અને સ્કલેથી આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીજળી, પાણી અને આવાસ જેવી પાયાની સુવિધાઓ જનજન સુધી પહોંચાડીને પણ જનજીવન સરળ બનાવ્યું છે. આ વેળાએ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ સર્વ શ્રી સી. આર. પાટીલ, પૂનમબેન માડમ, રમેશભાઇ ધડુક, રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઇ દેશાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય શ્રી પબુભા માણેક સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પાદુકાપૂજન કરાવ્યું હતું.વડાપ્રધાનશ્રીએ શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાનશ્રીએ શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં વડાપ્રધાનશ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી.

વડાપ્રધાનશ્રીને મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ શ્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવશ્રી રાજ કુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લૂણાભા સુમણીયા, જે.કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસીયા, કરશનભાઈ જોડ, ધીરુભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતનાએ આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહસિક ગણાતા સ્કૂબા ડાઇવિંગ કરીને ઊંડા દરિયામાં ભગવાનશ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના દર્શન કર્યા હતા. આ અગાઉ લક્ષદ્દીપ ખાતે પણ વડાપ્રધાનશ્રી એ સાહસિક એવું સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, પુરાતત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે. જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી.જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે.આજરોજ ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલ પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો અનુભવ કર્યો તથા ભગવાનશ્રી કૃષ્ણનું સ્મરણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકા નગરીને અર્પિત કરી ગૌરવ અનુભવુ છું.હું દેશ કાજ કરવા સાથે દેવ કાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છું.વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન ૨૧ મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખોમાં ઘૂમી રહી હતી.પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કરી વિકસિત ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે.  સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમા વધુ એક મોતી ઉમેરાયું છે. પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉતેજન મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારકાના ઊંડા દરિયામાં સાહસિક એવું સ્કૂબા ડાઇવિંગ કરતા જોવા મળ્યા હતા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે,શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે.ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું હતું.જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે.ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધા પૂર્વક નમન કરતા તેમણે ઉમેર્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે.અહી જે થાય છે તે દ્વારકા ઈચ્છાથી થાય છે.આદિ શંકરાચાર્યએ અહી શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ,રુકમણી મંદિર અહીના આસ્થાના કેન્દ્રો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com