કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI)એ થોડા દિવસો પહેલા જ ઇમિગ્રેશન પરમિટમાં 25 ટકા કાપની જાહેરાત કરી હતી. આ બાદ હવે ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ થવાના જોખમ સતાવી રહ્યો છે અને એ કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં પાંચ દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે.
સાથે જ વિરોધ કરી રહેલા બે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI)ની સંસદમાં પણ આ વિશે વાત કરી હતી. રુપિન્દરપાલ સિંહે જણાવ્યું હતું કે તેણે કેનેડિયન વિદ્યાર્થીઓ કરતાં કેનેડામાં તેમના શિક્ષણ પર ત્રણ ગણો વધુ ખર્ચ કર્યો છે અને તેમ છતાં તેમને ઇમિગ્રન્ટ તરીકે સહન કરવું પડ્યું હતું. સાથે જ એ પણ કહ્યું કે એમને ઓન્ટારિયોમાં તેના એજ્યુકેશન અને કેનેડામાં કરવેરા બંને પર વધારાના પૈસા ખર્ચ્યા. જેને કારણે તેને કેનેડિયન નાગરિક તરીકે તેના સમાન અધિકારોની ખાતરી મળવી જોઈએ.
જો કે વાત અહીં જ નથી અટકતી, એમને એમ પણ પૂછ્યું કે “કુલ મળીને, મેં મારા ટ્યુશન માટે લગભગ $30,000 ચૂકવ્યા. સમાન શાળાની ફી માટે, કેનેડામાં જન્મેલા અને ઉછરેલા વ્યક્તિએ લગભગ $10,000 ચૂકવ્યા હતા. મારો પ્રશ્ન એ છે કે એ જ વસ્તુ માટે મારે વધારાના $20,000 ચૂકવવા પડ્યા અને હજુ પણ મારે ઇમિગ્રેશન પરમિટને લઈને ડરીને રહેવાની જરૂર છે, આ કેટલું યોગ્ય..?’ રુપિન્દર અને જસપ્રીત સિંહ પ્રાંતીય સરકારને તેમના વર્ક વિઝાની સમયસીમા સમાપ્ત થયા પછી તેમને દેશનિકાલ ન કરવા વિનંતી કરવાની વાત પર PEI સંસદમાં આ વાત ઉઠાવી હતી.
પણ પ્રશ્ન એ થાય કે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ શા માટે વિરોધ કરી રહ્યા છે? આ ભાષણ એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં 25% ઇમિગ્રેશન કાપ સામે દિવસ-રાત વિરોધ કરી રહ્યા છે. ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે હાઉસિંગ કટોકટીને કારણે સરકારે આ પગલું લીધું છે. સાથે જ એવી પણ માંગ છે કે ઇમિગ્રેશન કાપ પહેલા PEI માં રહેતા કોઈપણને કાયમી રહેવાસી બનવાની મંજૂરી આપવામાં આવે.