ધોરણ 12 માં ભણતી સગીરાએ ITI કરતા સગીર પ્રેમી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. હાલોલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાએ એકસાથે છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું છે. યુવક હાલોલના ઉજેતી ગામનો અને સગીરા હાલોલ ની હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ સબંધ થયો પરંતુ સમાજ લગ્ન નહી થવા દે તેવી ડરમાં કપલે મોત વ્હાલુ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષનો યુવક 12 ધોરણ પછી બે વર્ષથી આઈટીઆઈ કરી રહ્યો હતો. તો 17 વર્ષની સગીરા હાલોલની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી. સવારે 10 વાગ્યે યુવક ઘરેથી નીકળ્યો હતો અને હાલોલ પહોંચ્યો હતો. જ્યાંથી યુવતીને લઈને હાલોલ વડોદરા રોડ ઉપર ખંડીવાળા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર પહોંચ્યો હતો. સરણેજ ગેટ નજીક બંનેએ કેનાલ પાસે ચપ્પલ ઉતારી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી દીધા હતા, જેથી મોત સમયે પણ બંને સાથે રહ્યા હતા અને અલગ ન થઈ શકે. સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને બંને એકસાથે કેનાલમાં કુદ્યા હતા.
ઘટનાની જાણ થતા જ હાલોલ ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા નહેરના પાણીમાં બંનેને શોધવાની કામગીરી આરંભાઈ હતી. આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરાતા તેમના પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.
આ ઘટનાને નજરે જોનાર રાહદારીએ જણાવ્યું કે, બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી એક સાથે કેનાલમાં કુદ્યા હતા.કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થતાં બચવા માટે બૂમાબૂમ કરી હતી. ત્યારે નજીકમાં પસાર થતા કોઈ રાહદારીએ બંનેને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં વાયરનો ટુકડો નાખતાં તે યુવકે પકડ્યો પણ હતો પરંતુ સગીરા પાણીના વહેણમાં વહી રહી હતી. બંનેના હાથ બંધાયેલા હોવાથી યુવકે સગીરા સાથે પાણીમાં વહી જવાનું પસંદ કરતાં તેમને બચાવી શકાયા ન હતા.