જાપાનની સરકારના એક પ્લાનથી દેશમાં મોટી ઉથલપાથલ મચી છે. વાત જાણે એમ છે કે સરકારે શહેરી યુવતીઓને એવી ઓફર આપી હતી કે જો તેઓ ગ્રામીણ યુવકો સાથે લગ્ન કરશે તો તેમને 6 લાખ યેન (3,52,758 રૂપિયા) નું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે. જાપાનના ન્યુઝ રિપોર્ટ મુજબ સરકારે અસંતુલિત ક્ષેત્રીય વિકાસને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હતો.સરકારનું માનવું છે કે આ વિસંગતિથી દેશની સામાજિક પ્રગતિ પર અસર પડી રહી છે.
જાપાનના 2023ની જનસંખ્યા માઈગ્રેશન રિપોર્ટ મુજબ ગત વર્ષે લગભઘ 68 હજાર ટોક્યોમાં શિફ્ટ થયા હતા. જેમાંથી અડધા કરતા વધુ મહિલાઓ હતી. જો કે જાપાની મીડિયા મુજબ સરકારના આ પ્લાનને લોકોએ પસંદ કર્યો નહીં અને ટીકા થતા આ પ્રપોઝલ પાછી લેવામાં આવી.
વાત જાણે એમ છે કે આ પ્લાન પાછળ સરકારનો હેતુ એ હતો કે મોટાભાગના લોકો શહેરો તરફ જે પલાયન કરે છે તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં વર્કફોર્સ ઓછી થઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં સારુ શિક્ષણ, રોજગારના ચક્કરમાં ગ્રામીણ વિસ્તારો છોડીને શહેરોમાં શિફ્ટ થઈ રહી છે. ગ્રામીણ વિસ્તારોથી વસ્તીના પલાયનને કારણે અનેક ઠેકાણે શાળાઓ અને હોસ્પિટલો સૂમસામ છે. તેમને બંધ કરવા પડી રહ્યા છે. આ બધાની એ પણ અસર છે કે અહીં નવજાતોના જન્મ પણ ઘટી રહ્યા છે.
આથી વિવિધ ક્ષેત્રો વચ્ચે આર્થિક વિકાસમાં અસંતુલન ન બને અને જનસંખ્યા વચ્ચે પણ સંતુલન રહે તે રીતે આ પ્લાન ઘડવામાં આવ્યો. જે હેઠળ આ પ્રપોઝલ રજૂ કરાઈ કે જે મહિલાઓ ટોક્યો છોડીને ગ્રામીણ વિસ્તારોમાં જઈને વસવા માંગે તેમને આ પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
પ્લાનમાં કહેવાયું કે ટોક્યોમાં 23 નગરપાલિકાઓ છે. આ જગ્યાએ કામ કરનારી અપરણિત મહિલાઓ કે સિંગલ વુમન આ યોજનાનો ફાયદો લઈ શકે છે. આ છોકરીઓને ગ્રામીણ વિસ્તારોમાં જઈને મનપસંદ સાથી શોધવાનો ખર્ચો પણ સરકાર આપવા માટે તૈયાર હતી. પરંતુ જેવો આ પ્રસ્તાવ જાહેર થયો કે તેનો આકરો વિરોધ થવા લાગ્યો અને સરકારે પીછેહટ કરવી પડી અને યોજના પર ઠંડુ પાણી રેડાઈ ગયું.
સોશિયલ મીડિયા પર લોકોએ આ યોજનાનો વિરોધ કરતા કહ્યું કે પછાત ગ્રામીણ વિસ્તારોને છોડીને છોકરીઓ એટલા માટે ટોક્યો જઈ રહી છે કારણ કે તેમને ત્યાં સારા જીવનની આશ હોય છે. હવે સરકાર ઈચ્છે છે કે તેઓ પાછા ફરે. આ તો એકદમ વાહિયાત વાત છે.
જાપાનમાં હાલ ભારે જનસંખ્યા સંકટ જોવા મળી રહ્યું છે. જન્મદર અત્યાર સુધીના સૌથી ન્યૂનતમ સ્તરે પહોંચી ગયો છે. આ વર્ષે જૂનમાં સ્વાસ્થ્ય મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે સતત આઠમા વર્ષે જન્મદર ક્રિટિકલ સ્તર પર બનેલો છે. ગત વર્ષ દેશભરમાં 5 લાખથી ઓછા કપલે લગ્ન કર્યા જે 90 વર્ષમાં સૌથી ઓછા છે. સામાન્ય રીતે ધારણા છે કે અહીંના લોકો લગ્નના ચક્કરમાં ફસવા માંગતા નથી અને બાળકોની ઈચ્છા પણ નહિવત છે.