પાટણ
પાટણ શહેરનો 1280મો સ્થાપના દિવસ છે આ ઐતિહાસિક નગરની પ્રભુતાને ઉજાગર કરતા સ્થાપત્યોમાં માત્ર રાણકીવાવને બાદ કરતા તમામ વિકાસ અને રીનોવેશનને ઝંખી રહ્યા છે.જેમાં મુખ્યત્વે પાટણને વિરાસતમાં મળેલા ઐતિહાસિક નગરની પ્રતિતિ કરાવતાં 12 દરવાજા અને એક બારીનો ઉલ્લેખ દરેક પાટણ ઉપર લખાયેલા પુસ્તકોમાં કરાયો છે.પરંતુ આ ઐતિહાસિક દરવાજાને પુરાતત્વમાં સમાવેશ કર્યાં બાદ પણ તેની કોઇ સંભાળનાં પ્રયાસ કરવામાં ના આવતા આ દરવાજાઓ પૈકી 5 દરવાજા જર્જરિત થઈ જમીનદોસ્ત થતા નામશેષ બન્યા છે.
એક દરવાજાના અસ્તિત્વ જ રહ્યું નથી.હાલમાં હયાત 6 દરવાજા પૈકી એક છીંડીયા દરવાજાનું રીનોવેશન થતા સુશોભીત હાલતમાં ઉભો છે.અન્ય 5 દરવાજા જર્જરીત થતા તેના અસ્તિત્વ સામ જોખમ સર્જાયું છે. 13 મી ગણેશ બારી તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ છે પરંતુ હાલમાં શહેરમાં તેના સ્થળે મંદિર નિર્માણ થયું હોય અથવા નામશેષ થઈ હોય સ્થળ ઉપર જોવા મળી રહી નથી. આમ શહેરમાં ઐતિહાસિક વિરાસત ગણાતા 12 દરવાજા અને 13 મી બારી પૈકી માત્ર હાલમાં છ જ દરવાજા બચ્યા છે.તેને પણ જો સુરક્ષિત કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં નામશેષ થશે.
ભઠ્ઠીનો દરવાજો અને ગણેશ બારીનો પાટણ ઉપર લખાયેલા પુસ્તકોમાં ઉલ્લેખ છે.પરંતુ સ્થળ ઉપર તપાસ કરતા અસ્તિત્વ જોવા મળ્યું ન હોતું.આ બાબતે આજુબાજુના લોકોને પૂછતાં તેઓએ પણ ભઠ્ઠીનો દરવાજો અને ગણેશ બારી વિશે સાંભળ્યું છે.પરંતુ જોઈ ના હોવાનું જણાવ્યું હતું. સાહિત્યકાર અને એક સંશોધકને પણ આ બાબતે પૂછતા તેમને આપેલા સ્થળો ઉપર તપાસ કરી હતી છતાં ભઠ્ઠીનો દરવાજો કે ગણેશની બારી મળી ન હતી.
પાટણ પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના નિવૃત પ્રિન્સિપાલ અને જાણીતા ઇતિહાસ વૈદ્ય ડો.લલિતભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણનો સાંસ્કૃતિક વારસો અમૂલ્ય છે તેને જાળવવો જોઈએ પુરાતત્ત્વ વિભાગ દ્વારા પણ પાટણની ઐતિહાસિક ધરોહર સચવાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ પાટણના દરેક દરવાજા તેનો આગવો ઇતિહાસ ધરાવે છે.પુરાતત્વ વિભાગ દ્વારા આવા તમામ ઐતિહાસિક અમૂલ્ય વારસાની જાળવણી થાય તેમજ આવા જર્જરિત દરવાજાનું સમારકામ પણ કરાવવું જોઈએ.જેથી આવનારી પેઢી પાટણના આ ભવ્ય સાંસ્કૃતિક વારસાને નિહાળી શકે.