અમદાવાદ
એક તરફ વિકસિત દેશ અમેરિકા પોતાના દેશમાંથી લાખો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાથકડી અને સાંકળોથી બાંધીને તેમને ભૂખ્યા, તરસ્યા અને અપમાનિત કરીને મિલિટરી વિમાનમાં પોતાના વતન મોકલી રહ્યું છે. તો બીજી તરફ દુનિયાને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપનાર ભારત હંમેશની જેમ પોતાના સ્વભાવ પ્રમાણે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સાથે પણ સવેદનશીલ રીતે વર્તી રહ્યું છે. અહીં વાત એ કિસ્સાની કરવી છે કે જ્યાં સારા ભવિષ્યની આશમાં બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે ઘૂસેલા એ માતા અને બે દીકરીઓની, કે જેમનીથી જાણે કે કુદરત પણ રૂઠી હોય એવો ઘાટ સર્જાયો છે. સારુ જીવન, પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યની શોધમાં એક માતા પોતાની બે દીકરીઓને લઇને બાંગ્લાદેશથી ગેરકાયદે અમદાવાદ આવી હતી. આ બે દીકરીઓમાં એકની તો ઉંમર માત્ર 14 વર્ષની જ છે. એજન્ટો મારફતે અમદાવાદ પહોંચતા જ માતા અને બે દીકરીઓ દેહવિક્રયના ધંધામાં ધકેલાઇ જાય છે. સમગ્ર રેકેટ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં તેઓ માતા-દીકરીઓ સુધી પહોંચે છે અને મેડિકલ તપાસમાં એક આઘાતજનક ખુલાસો થાય છે કે 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ છે અને હવે તેનો ગર્ભપાત કરાવવો પણ મુશ્કેલ છે અને હવે તે અપરિણીત માતા બનશે. ત્યારે આ સાંભળીને માતા અને બંને બહેનો આઘાતમાં સરી પડે છે. હાલ તેને કોઈ સ્વજન પાસે રાખવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ પણ તેના પર નજર રાખી રહી છે.
અમદાવાદના રામોલ વિસ્તારના એક નાનકડા ઘરમાં 14 વર્ષની રઝિયા (નામ બદલ્યું છે) તેની માતા અને બહેન સાથે રહેતી હતી. રઝિયા બાંગ્લાદેશના નાના શહેરમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેનાં કેટલાંક પરિજનો ભારતમાં પણ રહેતાં હતાં અને તે પણ અમદાવાદ જેવા શહેરમાં. ઘણી વખત તેમના અમદાવાદમાં રહેતા પરિજનો સાથે વાતચીત થતી હતી. ભારતમાં સારા જીવન વિશે તેમની સાથે વાત થતા રઝિયા અને તેનો પરિવાર પણ ખૂબ પ્રભાવિત થયો હતો. બાદમાં રઝિયા તેની માતા અને બહેન પણ એજન્ટ મારફતે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમદાવાદ સુધી પહોંચ્યાં હતાં. અમદાવાદના રામોલ વિસ્તારમાં તેઓ ગેરકાયદેસર રીતે નાનકડા મકાનમાં રહેવા લાગ્યાં હતાં. અહીંયાં આવ્યા બાદ તેમની સ્થિતિ સારી થવાને બદલે વધુ કફોડી બની હતી. કારણ કે, પહેલા તો તેઓ એજન્ટો મારફતે આવ્યાં હતાં, એટલે તેમને ગમે તેમ ગોઠવવામાં આવ્યાં હતાં. અહીંયાં ખાવા-પીવાની તકલીફ સાથે બીજી અન્ય મુસીબતો પણ શરૂ થઈ ગઈ હતી. 14 વર્ષીય રઝિયા તેની માતા અને એક બહેનની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર કેટલાક લોકો રઝિયાના ઘર સુધી પહોંચવા લાગ્યા હતા અને ધીરે-ધીરે આ પરિવાર દેહવિક્રયમાં ધકેલાયો હતો. અન્ય પરિવારની જેમ સારા જીવનની આશામાં આવેલી રઝિયા પણ વાસનાના ભૂખ્યા લોકોના ચક્કરમાં ફસાઈ હતી. અહીંયાં જે નવું આવતું તે રઝિયા પર તૂટી પડતું હતું. મજબૂરીમાં રઝિયા આ યાતનાઓ સહન કરતી હતી. તેની માતા પણ મૂંગેમોઢે આ બધું સહન કરવા મજબૂર હતી.
આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એવી માહિતી મળી કે, રામોલ અને આસપાસના વિસ્તારમાં કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છુપાઈને રહે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારમાં રેડ કરી હતી. જ્યાં એક ઘરની અંદર રઝિયા તેની બહેન અને તેની માતા મળી આવ્યાં હતાં. આ તમામ દેહવિક્રય સાથે મજબૂરીથી જોડાયેલાં હતાં. પોલીસ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ ગઈ, ત્યાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને તેઓ દેહવિક્રયમાંથી બહાર આવે તે માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે સમયે રઝિયાનો મેડિકલ રિપોર્ટ આવ્યો અને તે ફફડાવી નાખે તેવો હતો. રઝિયા ગર્ભવતી બની હતી. હવે પરિવારને ક્યાં જવું? શું કરવું? તેની કંઈ ખબર પડતી નહોતી. રઝિયાના મેડિકલ રિપોર્ટમાં તે 7 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. તેના ગર્ભપાત માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તે ગર્ભપાત કરાવી શકે તેવી સ્થિતિ પણ મેડિકલ રિપોર્ટમાં નહોતી. કારણ કે, ભ્રૂણ વિકાસ પામી ગયું હતું. હવે રઝિયા ફરજિયાત બાળકને જન્મ આપવાની છે. હાલ રઝિયાને ગેરકાયદેસર બાંગ્લાદેશથી ભારત ઘૂસવાના અને હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં સાક્ષી તરીકે રાખવામાં આવી છે. જ્યારે તેને તેનાં અન્ય સ્વજનના ઘરે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સગીરાની તબિયત કેવી છે, તે જાણવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ સતત તેના પર ધ્યાન રાખી રહ્યું છે.
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું છે કે, સગીરા ગર્ભવતી છે અને તેને હાલ સુરક્ષિત જગ્યાએ તેનાં સ્વજન સાથે રાખવામાં આવી છે. તેનો ગર્ભપાત કરાવવો શક્ય ન હતો. હાલ તેની સ્થિતિ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમય અંતરે પૂછપરછ અને તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ચંડોળા તેમજ વટવા વિસ્તારમાં અનેક બાંગ્લાદેશીઓ રહે છે. તેમને શોધવા માટે એક આખી એજન્સી કામ કરે છે. જ્યારે હવે તો સેન્ટ્રલ એજન્સી પણ બાંગ્લાદેશીઓને પકડીને તેમના દેશ પરત કરવા માટે પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશના અનેક લોકો પોતાના સારા જીવનની ચાહના લઈને એજન્ટો મારફતે સરહદ ઓળંગી ભારતમાં પ્રવેશે છે. ભારતમાં અલગ-અલગ શહેરોમાં બાંગ્લાદેશીઓની મોટી વસાહત છે. ગુજરાતમાં પણ બાંગ્લાદેશીઓ મોટાં શહેરોથી લઈને નાનાં શહેરો સુધી રહે છે. પોતાના પરિચિતો, એજન્ટો મારફતે ભારતીય નાગરિકતાના ડુપ્લિકેટ પેપર બનાવીને તેઓ અહીંયાં વસવાટ કરી લે છે.