અમદાવાદ
ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ રહી છે, જોકે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ જાણે ગુજરાતમાંથી શિયાળાએ એકાએક વિદાય લીધી હોય એવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે, પણ હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધી શિયાળાની ઋતુ માનવામાં આવે છે. હવે જ્યારે શિયાળાનો અંત નજીક આવ્યો છે ત્યારે તાપમાનમાં વધારો થયો છે, જોકે દર વર્ષે શિયાળાની વિદાય સમય બેવડી ઋતુનો અનુભવ થતો હોય છે, કારણ કે શિયાળા બાદ ઉનાળાની ગરમી દિવસે સતાવે છે, જ્યારે રાત્રે શિયાળાને કારણે ઠંડકનો અનુભવ થતો હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાક બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેથી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે. આજનો દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસએ જણાવ્યું હતું કે આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે તથા લઘુતમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન ધીમે-ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. આગામી 24 કલાક રાજ્યભરમાં મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. એનું મુખ્ય કારણ છે કે પશ્વિમ રાજસ્થાનના ભાગો પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા એનાથી ઇન્ડ્યુસ ટ્રફ ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સક્રિય થયું છે, જેને કારણે ગુજરાતના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જેને કારણે ગુજરાતવાસીઓને ગરમીથી થોડીક રાહત મળવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળા પવનો ફૂંકાતાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે.
ગઈકાલે પાંચ શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું, જેમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ તાપમાનનો પારો સામાન્ય કરતાં વધુ રહ્યો હતો, જેમાં અમદાવાદ અને વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 36.8, સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનો બફારો સર્જી શકે છે, જેથી હજુ પણ આજના દિવસ માટે બફારાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ધીરે-ધીરે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સાથે છૂટાછવાયાં વાદળો દેખાઈ શકે છે, જે વાતાવરણના ઉપરી સ્તરમાં રહેશે તથા લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37° Cની આસપાસ રહેવાની શક્યતા છે.