ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર મેહુલ કે. દવેએ અધ્યક્ષ સ્થાનેથી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું કે તેમની પાસે રહેલી સત્તાનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે જો સત્તાનો ઉપયોગ નહીં કરવામાં આવે તો તે નિરર્થક બની જશે.
બેઠકમાં હીટવેવને લઈને મહત્વના નિર્ણયો લેવાયા. શ્રમિકોને બપોરે કામ ન કરાવવા અને તેમના માટે છાયડો, પીવાનું પાણી અને ORS ની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ. જનસેવા કેન્દ્રો પર આવતા અરજદારો માટે પણ આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કહેવાયું.
કલેક્ટરે અધિકારીઓને એક અઠવાડિયામાં તેમના તાબા હેઠળની કચેરીઓની મુલાકાત લેવા જણાવ્યું. તેમણે માત્ર પત્રકો ભરવા પૂરતું જ નહીં, પરંતુ અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો. સુજલામ્ સુફલામ્ અભિયાન અંતર્ગત જળસંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટે યોગ્ય આયોજન કરવાનું કહેવાયું. ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે કરકસરયુક્ત વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ. બેઠકમાં સ્કીમ સેચ્યુરેશન અને સૂર્યઘર યોજના અંગે પણ ચર્ચા થઈ. વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચે તે માટે કામગીરી કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું.