સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યમાં ચકચાર મચાવનાર સુરેન્દ્રનગરના ગેડિયા પિતા-પુત્ર એન્કાઉન્ટર ઘટના કેસમાં આખરે પોલીસ દોષિત સાબિત થઈ છે. એન્કાઉન્ટર કરનાર PSI સહિત 7 પોલીસકર્મીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. પીડિત પરિવાર છેલ્લા 4 વર્ષ સુધી કોર્ટના અને પોલીસ મથકના ધક્કા ખાઈ થાક્યો હતો.
અંતે કોર્ટે નિર્ણય કરી PSI સહિત 7 કર્મીઓ પર ગુનો દાખલ કરવા આદેશ કર્યો છે.
કોર્ટના આદેશ બાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે, મૃતકની દીકરીએ જણાવ્યું કે, મારા પિતા અને ભાઈને મોતને ઘાટ ઉતારનાર પોલીસ પર કડક કાર્યવાહી સજા કોર્ટ કરશે. 2021માં ગેડિયા ગામે પોલીસે જ પિતા અને પુત્ર પર ગોળીબાર કરી એન્કાઉન્ટર કર્યું હતું. 14 વર્ષીય પુત્રમદીમખાનનું પણ ગોળીબારમાં મોત થયું હતું.એન્કાઉન્ટર કરનાર PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવા ધ્રાંગધ્રા કોર્ટે હુકમ છે. ઘટનાના 4 વર્ષ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આખી ઘટના શું હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડીના ગેડિયા ગામમાં વર્ષ-2021માં ચકચારી એન્કાઉન્ટરમાં આરોપી મૃતક હનીફ ખાન સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા, જો કે 59 ગુનામાં તો તો વોન્ટેડ હતો. પોલીસ આરોપીને ઝડપી લેવા માટે ગઈ ત્યારે તેને પોલીસ પર પણ હુમલો કરી નાંખ્યો હતો, જેથી તેની વળતી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું જેમાં હનીફ ખાન અને તેના પુત્ર મદીનનું મોત નિપજયું હતું.