
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થતા જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ભાવનગરના પાલિતાણામાં 12 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે. પાલિતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક તૂટ્યો છે. રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ પણ ભારે વરસાદ ખાબકતા તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. બુઢણા, લવરડા, ઢૂંઢસર, ગુંદળા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે. ભાવનગરથી વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ચમારડી પાસે આવેલ કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. રસ્તાઓ બંધ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા કામગીરી હાથ ધરાઈ છે. ભાવનગરના પાલીતાણા તાલુકાના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે સેંજળિયા અને મોખડકા ગામમાં લોકો ફસાયા છે. ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સેંજળિયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘુસ્યા છે. જેના પગલે સ્થાનિક તંત્ર અને તળાજા ફાયરની ટીમ મદદે પહોંચી છે. બંન્ને ગામોમાં 10 થી 15 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. જો કે પાલીતાણાના મામલતદાર, રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં એક વ્યક્તિ ને બહાર કાઢવા માં આવ્યો છે અન્ય ફસાયેલા 14 જેટલા લોકો ને જેસીબી ની મદદ થી બહાર કઢાયા હતા.