
દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006 ગુરુવારે સવારે ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી હતી. ફ્લાઇટમાં ક્રૂ-મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતા. આ ઉપરાંત સ્પાઇસજેટની ફ્લાઇટ પણ ટેક-ઓફ થયાની 10 મિનિટ પછી પાછી ફરી હતી. આ ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઈ રહી હતી. ફ્લાઇટમાં કુલ 80 મુસાફર સવાર હતા. બુધવારે અગાઉ એર ઇન્ડિયાની 3 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી, જેમાં દિલ્હી-બાલી, ટોરોન્ટો-દિલ્હી અને દુબઈ-દિલ્હી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 અધવચ્ચે જ દિલ્હી પાછી ફરી. એરલાઇને જણાવ્યું હતું કે બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી ટોરોન્ટોથી દિલ્હી જતી ફ્લાઇટ AI188 રદ કરાઈ હતી. જે મુસાફરો પહેલાંથી જ ફ્લાઇટમાં સવાર હતા તેમને નીચે ઉતારી દેવામાં આવ્યા. એવું કહેવામાં આવ્યું કે ફ્લાઇટના મેન્ટેનન્સ અને ક્રૂના ફ્લાઇટ ડ્યૂટી સમયની મર્યાદાને કારણે એ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI996 ટેક્નિકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી. મુસાફરો પહેલાંથી જ આ ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા. આદેશ જાહેર થતાં જ તેમને પણ નીચે ઉતારવામાં આવ્યા હતા. એરલાઇનના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના માટે અન્ય ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું હતું.
એરલાઇનના જણાવ્યા અનુસાર, દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 મંગળવારે રાત્રે બાલી માટે રવાના થઈ હતી અને જ્વાળામુખી ફાટવાના અહેવાલો પછી એ અધવચ્ચે જ પાછી ફરી હતી. બુધવારે વહેલી સવારે ફ્લાઇટ દિલ્હીમાં સુરક્ષિત રીતે ઊતરી ગઈ હતી. તેમના રહેવાની વ્યવસ્થા પણ એરલાઇન દ્વારા કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, મંગળવારે ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવાટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો. રાખ જ્વાળામુખીથી 11 કિમીની ઊંચાઈ સુધી ઉડાન ભરી. બુધવારે સવારે રાખનાં વાદળ ફરી 1 કિમી ઊંચાં ઊછળ્યાં હતાં, જેના કારણે બાલી જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી. આ દરમિયાન આજે સવારે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટને બોમ્બનો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો. બેગમપેટ એસીપીએ જણાવ્યું હતું કે બોમ્બ-સ્ક્વોડને તપાસ માટે બોલાવવામાં આવી છે અને એરપોર્ટના દરેક ભાગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યારસુધી કોઈ બોમ્બ મળ્યો નથી. દરેક વ્યક્તિ સુરક્ષિત છે અને એરપોર્ટ પર તકેદારી વધારી દેવામાં આવી છે.
મંગળવારે અગાઉ એર ઇન્ડિયાની 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન અને સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ મંગળવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ 12થી 17 જૂન વચ્ચે બોઇંગ 787 ફ્લાઇટ્સ સહિત 66 ફ્લાઇટ્સ રદ કરી હતી. DCGA એ કહ્યું- 12 જૂનની ઘટના પછી એર ઇન્ડિયાના બોઇંગ 787 શ્રેણીના ડ્રીમલાઇનરની તપાસ કરવામાં આવી હતી, જેમાં સલામતી અંગે કોઈ મોટી સમસ્યા જોવા મળી ન હતી. DCGAએ જણાવ્યું હતું કે વિમાનની જાળવણી વર્તમાન સુરક્ષા નિયમો અનુસાર હોવાનું જાણવા મળ્યું છે. એર ઇન્ડિયાના કાફલામાં 33 બોઇંગ 787- 8/9 વિમાન છે. મંગળવારે DGCA એ એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં DGCA એ એરલાઇનને વિમાન સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવા, ફ્લાઇટ કામગીરીને કડક બનાવવા અને ફ્લાઇટ પ્રસ્થાન સમયસર શિડ્યૂલ કરવા સૂચના આપી છે.