Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સારો વરસાદ વરસ્યો. સરખેજ ગાંધીનગર હાઈવે પર સતત એક કલાક વરસાદ વરસ્યો. વરસાદના કારણે અને રસ્તા જળમગ્ન બન્યા હતા. આનંદનગર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, હાઈકોર્ટ વિસ્તાર સહિતના અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં મેધમહેર જોવા મળી. વૈષ્ણોદેવી, અડાલજ, એસપી રિંગ રોડ,સેટેલાઈટ, જોધપુર, શિવરંજની, શ્યામલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી.અમદાવાદ સવારથી રોકાઈ રોકાઈને વરસાદ વરસી રહ્યો છે.
સવારથી જ શહેરમાં કાળા વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. વાદળોની વચ્ચે વરસાદની એન્ટ્રીથી શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો 82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.આ સીઝનમાં અમદાવાદ શહેરમાં કુલ 26 ઈંચથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે 25 ઓગસ્ટે એટલે કે આવતી કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સાબરમતી નદી ભયજનક સપાટીએ પહોંચી
અમદાવાદમાં અવિરત વરસતો મધ્યમ વરસાદ અને ઉપરવાસ વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ જળસ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા એક કલાકમાં જળસ્તરમાં બે ફૂટનો વધારો થયો છે. સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટથી વધીને 129 ફૂટ થયું અને હવે સાબરમતી નદી ભયજનક સપાટી 132 ફૂટ પહોંચી છે. સાબરમતીનું જળસ્તર વધતા રિવરફ્રંટ નાગરિકો માટે બંધ કરાયો છે. વાસણા બેરેજના 28 દરવાજા છ ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની જાવક શરૂ કરાઈ છે. નદી કિનારાના 18 ગામડાઓને એલર્ટ કરાયા છે
બુલેટ ટ્રેનની કામગીરી અટકી
સાબરમતીમાં પાણીના ભારે આવરાથી બુલેટ ટ્રેનની કામગીરી અટકાવવવાની ફરજ પડી છે. રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પાણીના તેજ પ્રવાહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સામાન તણાઇ હતો. વરસાદના કારણે અમદાવાદ રિવરફ્રંટના વોક વે સુધી જળસાપ પણ જોવા મળી રહ્યં છે. 15થી વધુ જળ સાપ અહીં ફરતા જોવા મળ્યાં.
ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના 21 દરવાજા ખોલાયા છે.સંત સરોવરમાંથી 60 હજાર 546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. પાણીની આવક થતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.સંત સરોવરમાં 52 ફૂટની સપાટી પર પાણી વહી રહ્યું છે.