પીટર નવારોએ ફરી એકવાર ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફને યોગ્ય ઠેરવ્યો

Spread the love

 

ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારતીય બ્રાહ્મણો પર રશિયન તેલ ખરીદીને નફો કમાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતીય બ્રાહ્મણો રશિયન તેલમાંથી નફો કમાઈ રહ્યા છે, જેની કિંમત સમગ્ર ભારત ચૂકવી રહ્યું છે. નવારોએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને યુક્રેન પર હુમલો કરવા માટે તે ચૂકવી રહ્યું છે, તેથી જ તે સૌથી વધુ ટેરિફ ભોગવી રહ્યું છે. આનાથી રશિયા અને અમેરિકાને નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ તે સામાન્ય ભારતીયોને નુકસાન પહોંચાડી રહ્યું છે. તેમણે આ સમજવું જોઈએ. નવારોએ ભારતને “રશિયાનું વોશિંગ મશીન” ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે ભારત માત્ર વેપાર અસંતુલન જ નહીં, પરંતુ અમેરિકાનાં હિતોના વિરુદ્ધનાં જોડાણોને પણ મજબૂત બનાવી રહ્યું છે.
કોંગ્રેસનેતા પવન ખેરાએ સોમવારે પીટર નવારોની વિવાદાસ્પદ ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ આવા પાયાવિહોણા નિવેદનો ન કરવા જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું,”અંગ્રેજી બોલતા વિશ્વમાં બ્રાહ્મણ શબ્દનો ઉપયોગ ધનિકોનું વર્ણન કરવા માટે થાય છે. આવી સ્થિતિમાં નવારોનું નિવેદન માત્ર ભ્રામક જ નથી, પણ તેમનું અજ્ઞાન પણ દર્શાવે છે”. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના સભ્ય અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે પણ નવારોની ટિપ્પણીની નિંદા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ નિવેદન દર્શાવે છે કે અમેરિકાના બૌદ્ધિક વર્તુળોમાં ભારત સામે કેવા પ્રકારના પૂર્વગ્રહો પ્રવર્તે છે. આ વિચારસરણી સીધી રીતે 19મી સદીના વસાહતી લેખકો જેમ્સ મિલનો વારસો છે.
..અગાઉ પણ નવારોએ બ્લૂમબર્ગ ટીવી સાથેના ઇન્ટરવ્યૂમાં રશિયા-યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે, એને રિફાઇન કરે છે અને ઊંચા ભાવે વેચે છે. આનાથી રશિયાને યુદ્ધ માટે પૈસા મળે છે અને તે યુક્રેન પર હુમલો કરે છે. નવારોએ ચેતવણી આપી હતી કે રશિયા અને ચીન સાથે ભારતના વધતા સંબંધો વિશ્વ માટે ખતરો બની શકે છે. તેમણે કહ્યું, ભારત… તમે સરમુખત્યારોને મળી રહ્યા છો. ચીને અક્સાઈ ચીન અને તમારા ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે અને રશિયા? ભૂલી જાઓ. તેઓ તમારા મિત્રો નથી. નવારોએ કહ્યું હતું કે જો ભારત આજે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો અમેરિકા કાલથી તેના 25% ટેરિફને સમાપ્ત કરશે.
ટ્રમ્પ પીટર નવારોને પોતાના સૌથી નજીકના સલાહકાર માને છે. નવારોએ તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પની વેપારનીતિ ઘડી હતી. નવારો ટ્રમ્પ સરકારની આર્થિક નીતિઓ ઘડે છે. નવારો 2016માં ટ્રમ્પ વહીવટમાં જોડાયા હતા. આ પહેલાં તેમણે 1994થી 2016 સુધી ડેમોક્રેટિક પાર્ટી માટે કામ કર્યું હતું. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બિલ ક્લિન્ટન અને બરાક ઓબામાના અનૌપચારિક સલાહકાર હોવાનું કહેવાય છે.
નવારોએ અગાઉ વૈશ્વિકીકરણ અને ખુલ્લા વેપારને ટેકો આપ્યો હતો, પદ માટે ચૂંટણી લડી હતી અને ધાર્મિક જમણેરીઓની ટીકા કરી હતી. 1984માં તેમણે ખુલ્લા વેપારને ટેકો આપતું એક પુસ્તક લખ્યું. જ્યારે ટ્રમ્પ તેમની સાથે જોડાયા ત્યારે તેમણે વૈશ્વિકીકરણની ટીકા કરવાનું શરૂ કર્યું. પીટર નવારો ઘણીવાર અમેરિકાની જૂની ઔદ્યોગિક શક્તિ વિશે વાત કરે છે. તેમનું માનવું છે કે અમેરિકાનો ખરો મહિમા ત્યારે હતો જ્યારે અહીં મોટા પાયે માલનું ઉત્પાદન થતું હતું. નવારો માને છે કે જ્યારે ચીનને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં પ્રવેશ આપવામાં આવ્યો, ત્યારે અમેરિકા માટે મુશ્કેલીઓ શરૂ થઈ. તેમના મતે આ એક પ્રકારનો સર્વનાશ હતો અને ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર નેતા છે, જે અમેરિકાને બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *