
હાલમાં ચાલી રહેલાં નવરાત્રી મહોત્સવ દરમિયાન મોંઘાદાટ પાસ વેચી રહેલાં ગરબા આયોજકોને ત્યાં ગુજરાત જીએસટી વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 10 ટીમ બનાવી ને જીએસટી વિભાગે અમદાવાદ, ગાંધીનગર ગિફ્ટ સિટી અને સુરતમાં દરોડા પાડ્યા હતા. સુરતમાં સુવર્ણ નવરાત્રીનાં આયોજકોને ત્યાં પણ જીએસટી વિભાગે સર્વેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આદિત્યદાન ગઢવી,જિગર દાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબા મહોત્સવ પર જીએસટી વિભાગે સર્વેની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ દરોડા પાડવામાં આવેલા ગરબા આયોજકો પૈકી કેટલાક ગરબા આયોજકો દ્વારા મોંઘાદાટ પાસ આપી વેચાણ કરવામાં આવી રહ્યા હતા. એવું કહેવાય છે કે પાચ હજાર 6 હજાર અને 12 હજાર સુધીના ગરબા પાસનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેની વિગતો જીએસટી વિભાગનાં ધ્યાને આવતા તમામ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. જીએસટી વિભાગના સર્વે દરમિયાન શું હાથ લાગ્યું છે તે વિગતો અંગે સત્તાવાર રીતે રાહ જોવાની રહે છે. ગરબા આયોજકો લોકોની પાસેથી પૈસા ઉસેટીને મબલખ કમાણી કરી રહ્યા હોવાનાં અનેક દાખલા સામે આવી રહ્યા છે. આજના દરોડ પાશેરમાં પહેલી પૂણી જેવા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.