શહેરોમાં સસ્તા મકાનો ઉપલબ્ધ બનાવવા બહુમુખી વ્યુહરચના: ખાલી પડેલા 1 કરોડ મકાનો બજારમાં લાવવા મોડેલ ટેનન્સી એકટનો ઝડપી અમલ
જો કે, માંગ અને સપ્લાઈ વચ્ચે મોટો તફાવત છે, જેના કારણે ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે.
રિપોર્ટમાં સસ્તા ઘરોની અછત પાછળના મુખ્ય કારણોની ઓળખ કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો ઓવરોધ જમીનની ઊંચી કિંમત છે, જે કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% થી 70% જેટલી હોય છે. શહેરોમાં લગભગ 1 કરોડ ઘરો ખાલી પડ્યા છે કારણ કે મકાનમાલિકો ઓછા ભાડા અને કાનૂની વિવાદોના ડરથી તેને ભાડે આપવા માંગતા નથી. જૂના ભાડૂઆત કાયદા અને ઔપચારિક લોન મેળવવામાં પડતી મુશ્કેલીઓ આ સંકટને વધારી રહી છે.
નીતિ આયોગે સૂચન કર્યું છે કે, સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે જમીનના વપરાશના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. તેમાં ‘ફ્લોર એરિયા રેશિયો’ (FAR)માં છૂટ આપવાની ભલામણ કરવામાં આવી છે, જેથી ઓછી જમીન પર વધુ ઘરો બનાવી શકાય. સાથે જ ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) દ્વારા મેટ્રો અને બસ કોરિડોર પાસે ઘર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી લોકોને અવરજવરમાં સરળતા રહે.
સરકારનું ધ્યાન હવે માત્ર ઘરના માલિક બનાવવા પર જ નહીં, પરંતુ ભાડાના મકાનો પર પણ વિશેષ છે. રિપોર્ટમાં મોડેલ ટેનન્સી એક્ટ (MTA)ને ઝડપથી લાગુ કરવાની હિમાયત કરવામાં આવી છે. જેથી ખાલી પડેલા 1 કરોડ મકાનોને બજારમાં લાવી શકાય. આ ઉપરાંત ઔદ્યોગિક કામદારો માટે ભાડા પર મકાન અને કંપનીઓ દ્વારા સંચાલિત હોસ્ટેલ અથવા પીજી (PG)ને પ્રોત્સાહન આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.
સસ્તા પરવડે તેવા મકાનોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાયની પણ ભલામણ કરવામાં આવી છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જ સંપૂર્ણપણે માફ કરવા અથવા માત્ર ટોકન રકમ (₹1 થી ₹1,000) લેવાનું સૂચન છે. સાથે જ બેન્કોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ ફેરિયાઓ અને દૈનિક મજૂરો માટે તેમની કમાણીના આધારે સરળ લોન સ્કીમ તૈયાર કરે. મધ્યમ વર્ગ માટે ક્રેડિટ ગેરંટી કવર 20 લાખ રૂૂપિયાથી વધારીને 40 લાખ રૂૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ છે.
PMAY-U 2.0થી નવી ઉમ્મીદ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના પ્રથમ તબક્કામાં 1.12 કરોડ ઘરો મંજૂર કરવામાં આવ્યા, જેમાંથી 96 લાખ પૂર્ણ થઈ ગયા છે. હવે 2024માં શરૂૂ થયેલી PMAY-U 2.0 હેઠળ આગામી પાંચ વર્ષમાં વધુ 1 કરોડ શહેરી પરિવારોને મદદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ નવા તબક્કામાં રાજ્યોની પોતાની સસ્તા આવાસની નીતિઓને કેન્દ્રની યોજનાઓ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.