ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

Spread the love

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, તેમનું વહીવટીતંત્ર ભારતીય ચોખા અને કેનેડિયન ખાતરો સહિત વિદેશી કૃષિ ઉત્પાદનો પર નવા ટેરિફ લાદવાનું વિચારી શકે છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠકમાં આ નિવેદન આપ્યું હતું, જ્યાં ખેડૂતોએ સસ્તા વિદેશી ઉત્પાદનોની અમેરિકન બજાર પર અસર અંગે ફરિયાદ કરી હતી. આ બેઠક અમેરિકન ખેડૂતો માટે 12 બિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત દરમિયાન યોજાઈ હતી.બેઠકમાં હાજર ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, કેટલાક દેશો અમેરિકન બજારમાં ઓછા ભાવે ચોખા વેચી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ટ્રમ્પે જવાબ આપ્યો, “તેઓ છેતરપિંડી કરી રહ્યા છે.” તેમણે સંકેત આપ્યો કે, આ આરોપોની તપાસ કરવામાં આવશે અને જો જરૂરી હોય તો ટેરિફ લાદવામાં આવશે.લ્યુઇસિયાનામાં કેનેડી રાઇસ મિલ્સના સીઈઓ મેરિલ કેનેડીએ દાવો કર્યો હતો કે ભારત, થાઇલેન્ડ અને ચીન આ કથિત ડમ્પિંગ માટે મુખ્ય દેશો છે. તેમણે કહ્યું કે ચીન મોટા પ્રમાણમાં ચોખા મોકલી રહ્યું છે, ખાસ કરીને પ્યુઅર્ટો રિકોને, જ્યાં અમેરિકન ચોખાનો પુરવઠો હવે લગભગ બંધ થઈ ગયો છે. કેનેડીએ કહ્યું, “અમે વર્ષોથી ત્યાં ચોખા મોકલ્યા નથી.
મેરિલ કેનેડીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ટેરિફ અસરકારક સાબિત થઈ રહ્યી છે, પરંતુ તેમને વધુ કડક બનાવવાની જરૂર છે. આ મામલે ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, “તમને વધુ જોઈએ છે?” પરંતુ તેમણે સંમતિ આપી કે ડમ્પિંગ કરતા કોઈપણ દેશ સામે કાર્યવાહી કરવામાં આવશે.ટ્રમ્પે મીટિંગમાં હાજર યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટને ખેડૂતો દ્વારા ઉલ્લેખિત દેશોની યાદી નોંધવા સૂચના આપી. જ્યારે ખેડૂતોએ ભારતીય સબસિડી નીતિ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું, ત્યારે ટ્રમ્પે અટકાવ્યું, “પહેલા મને દેશોના નામ જણાવો… ભારત, બીજું કોણ?” બેસન્ટે ભારત, થાઇલેન્ડ અને ચીનને મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે યાદીમાં વધુ દેશો ઉમેરી શકાય છે, જેની વિગતો પછીથી આપવામાં આવશે. ટ્રમ્પે ખાતરી આપી કે આ બાબતે “ખૂબ જ ટૂંક સમયમાં” કાર્યવાહી કરવામાં આવશે.ચર્ચા દરમિયાન, ટ્રમ્પે સંકેત આપ્યો કે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે કેનેડાથી આયાત કરાયેલ ખાતર પર પણ ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત અને કેનેડા બંને અમેરિકા સાથે વેપાર કરાર કરી રહ્યા છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં આ વાટાઘાટોમાં બહુ ઓછી પ્રગતિ થઈ છે. ઓગસ્ટમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, જેમાં ભારત દ્વારા અમેરિકન બજારમાં અવરોધ અને રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​(USTR) ના કાર્યાલયના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ રિક સ્વિટ્ઝરના નેતૃત્વમાં એક વરિષ્ઠ યુએસ પ્રતિનિધિમંડળ આ અઠવાડિયે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરશે. બંને પક્ષો 10 અને 11 ડિસેમ્બરે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ને આગળ વધારવાનો પ્રયાસ કરશે.વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ ભારતીય પક્ષ તરફથી વાટાઘાટોનું નેતૃત્વ કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ વર્ષના અંત સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય ધરાવે છે. 28 નવેમ્બરના રોજ FICCI વાર્ષિક બેઠકમાં બોલતા, અગ્રવાલે કહ્યું, “મને વિશ્વાસ છે કે અમે આ કેલેન્ડર વર્ષમાં કરાર પૂર્ણ કરીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *