મહારાષ્ટ્રમાં ખેલ થઈ ગયો! કોંગ્રેસની મદદથી ભાજપના બળવાખોર નારાયણ ચૌધરી મેયર બની ગયા

Spread the love

 

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક નાટકીય રાજકીય ઉથલપાથલ જોવા મળી, જ્યાં ભાજપને એ સમયે મોટો ઝટકો લાગ્યો, જ્યારે તેના બળવાખોર નેતા નારાયણ ચૌધરી, કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સમર્થનથી મેયર બની ગયા. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (BNMC)ની ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી , જેમાં 23 વોર્ડ અને 90 બેઠકોનો સમાવેશ થાય છે.

આનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા રાજકીય સમીકરણો અને ગઠબંધનોને જન્મ આપ્યો, જેના કારણે હોર્સ ટ્રેડિંગ અને રાજકીય અથડામણના આરોપો લાગ્યા.

શુક્રવારે બપોરે 12:00 વાગ્યે વિલાસરાવ દેશમુખ ઓડિટોરિયમ ખાતે હાથ ઉઠાવીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નારાયણ ચૌધરીને સ્પષ્ટ બહુમતી મળી. નારાયણ ચૌધરી મેયર તરીકે ચૂંટાયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મોમિન તારિક બારી ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ ચૂંટણીમાં કોંગ્રેસે 30, ભાજપે 22, શિવસેનાએ 12, સમાજવાદી પાર્ટીએ 6, કોણાર્ક વિકાસ આઘાડીએ 5 અને ભિવંડી વિકાસ આઘાડીએ 3 બેઠકો જીતી હતી.

મેયર પદ માટે નારાયણ ચૌધરીએ 46ના જાદુઈ આંકડા કરતા બે વધુ એટલે કે 48 મત મેળવ્યા હતા. ભાજપના સ્નેહા પાટીલને 16 મત મળ્યા, જ્યારે કોણાર્ક વિકાસ આઘાડીના વિલાસ પાટીલ (શિંદેની શિવસેનાના ટેકાથી)ને 25 મત મળ્યા. કોંગ્રેસના મોમિન તારિક બારી 43 મતો સાથે ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)એ ભિવંડીમાં મેયરની ચૂંટણી એક ધર્મનિરપેક્ષ મોરચા તરીકે લડી. રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે કહ્યું કે, ‘નારાયણ ચૌધરીએ પાર્ટીની નીતિનું ઉલ્લંઘન કર્યું છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

NCP (SP) લોકસભા સાંસદ સુરેશ મ્હાત્રે, જેમને બલિયા મામા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે આ જીતને ભિવંડીના લોકોની જીત ગણાવી. તેમણે કહ્યું કે પરિસ્થિતિઓને કારણે કોંગ્રેસ અને NCP (SP) વચ્ચે ધર્મનિરપેક્ષ મોરચાની રચના કરવાની જરૂર પડી.

સપાના ધારાસભ્ય રઈસ શેખે કહ્યું કે, ‘અમે ભિવંડીમાં એક ધર્મનિરપેક્ષ મોરચો બનાવ્યો છે.’ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકલએ કહ્યું કે, ‘કોંગ્રેસે ભાજપ કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો અને તેના વૈચારિક વલણ પર કોઈ સમાધાન ન કર્યું. ભાજપના કેટલાક કાઉન્સિલરો પાર્ટી અને તેની વિચારધારા છોડીને સેક્યુલર મોરચામાં સામેલ થવાનો નિર્ણય, જેના કારણે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં અમને સફળતા મળી.’

નારાયણ ચૌધરીએ ભાજપ સામે બળવો કર્યો અને કેટલાક ભાજપના કાઉન્સિલરો સાથે એક સ્વતંત્ર જૂથ બનાવ્યું હતું. તેમણે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનને સમર્થન આપવાનો નિર્ણય લીધો. મેયરની ચૂંટણી જીત્યા બાદતેમણે કહ્યું કે, ‘તમે સ્થાનિક રાજકારણ જાણો છો, હું માત્ર વિકાસ પર કામ કરીશ.’ આ રાજકીય ઘટનાક્રમ ભાજપે અંતિમ સમયે લીધેલા નિર્ણય બાદ થયો, જેમાં પાર્ટીએ નારાયણ ચૌધરીને મેયર ઉમેદવારના રૂપમાં હટાવીને તેમની જગ્યાએ સ્નેહા પાટિલને મેદાનમાં ઉતાર્યા હતા. તમને જણાવી દઈએ કે ભાજપમાં જોડાતા પહેલા નારાયણ ચૌધરી કોંગ્રેસમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *