આધુનિકતાની દોડમાં સંબંધોમાં પડી તિરાડ, પતિ-પત્ની વચ્ચેના સંઘર્ષના વર્ષે 8,000થી વધુ કેસ

Spread the love

ભારતીય સમાજમાં લગ્નને સાત જન્મના અતૂટ બંધન માનવામાં આવે છે. પરંતુ બદલાતી જીવનશૈલીમાં દંપતી વચ્ચે અહમનો ટકરાવ, આર્થિક સ્વતંત્રતા, સ્વની ભાવના તેમજ વૈચારિક મતભેદના બનાવોના કારણે આજે અમદાવાદમાં છૂટાછેડા, હિંસા તેમજ ભરણપોષણના મુદ્દે વર્ષે 8થી 10 હજાર યુગલો અદાલતના આંગણે પહોંચે છે. આધુનિકતાની દોડમાં આજે સંબંધોની ગરિમાં અને સમજદારી ધીમે ધીમે ખોવાઈ રહી હોય તેવું ચિત્ર સર્જાયું છે.

અમદાવાદ ફેમિલી કોર્ટના ચોંકાવનારા આંકડા

 

સામાજિક મૂલ્યોમાં આવતા પરિવર્તન અને બદલાતી જીવનશૈલીથી લગ્નજીવનમાં તિરાડ પડવાના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટમાં 2024 થી માર્ચ 2026 સુધીમાં છૂટાછેડા માટેના 10,200 કેસ તથા ભરણપોષણ અને હિંસાના 10,300 કેસ નોંધાયા છે, જે સામાજિક મૂલ્યોમાં આવી રહેલા પડકારજનક પરિવર્તનનો ચિતાર આપે છે. જેનો સૌથી વધુ ભોગ 20થી 30 વર્ષના યુવા દંપતીઓ બની રહ્યા છે.

 

યુવા દંપતીઓમાં ઘટતી સહનશક્તિ

 

કાયદાના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષે ઘટતી સહનશક્તિ તથા સ્વતંત્ર રહેવાની ભાવનાથી યુવા દંપતીઓ લગ્નના 1-2 વર્ષમાં છૂટા પડી જાય છે. 100એ10 કેસ એવા હોય છે જેમાં સોશિયલ મીડિયા માં પાંગરેલા પ્રેમમાં લગ્ન કરી છએક મહિનામાં જ છૂટા પડી જાય છે.

 

સોશિયલ મીડિયા અને ક્ષણિક પ્રેમ

 

યુવાનો જ નહીં 12-15 વર્ષના લગ્ન જીવન બાદ પણ સોશિયલ મીડિયાનો અતિરેક, એકબીજા સાથે અહમ ટકરાવવો, વિભક્ત કુટુંબનો આગ્રહ જેવા કારણોથી યુગલો છૂટાછેડાના અંતિમ ઉંબરે પહોંચતાં હોવાથી તેઓના બાળકોનું ભવિષ્ય પણ કચડાઈ જાય છે.

 

કાઉન્સિલિંગમાં પણ નિષ્ફળતાનું પ્રમાણ

 

દંપતી વચ્ચે ફરી સુમેળ કરાવવા ન્યાયતંત્ર મધ્યસ્થી માટે કાઉન્સિલર પણ નીમે છે. પરંતુ પરસ્પર વિશ્વાસનો અભાવ અને ઘટતી સહનશક્તિના કારણે 40થી 50 ટકા કેસમાં કાઉન્સિલિંગ બાદ પણ દંપતી છૂટાછેડાની વાત પર અડગ રહે છે.

 

ગ્રે ડિવોર્સના બનાવમાં પણ વધારો : 80 વર્ષની વયે છૂટાછેડા!

 

80 વર્ષના એક દાદા છૂટાછેડા લેવા પહોંચતા કોર્ટ પરિસરમાં ચકચાર મચી હતી. એ પહેલા એક 60 વર્ષ આસપાસના દંપતીએ બાળકો મોટા થાય ત્યાં સુધી તેમની જવાબદારી નિભાવી, પણ હવે એકબીજાની આદતોથી કંટાળી સ્વતંત્ર રહેવું છે તેમ કહી લગ્નજીવનના લગભગ 4 દાયકા પછી અલગ થવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવા છેલ્લાં કેટલાય સમયથી 50થી વધુ ઉંમરના દંપતીની લાઇન લાગેલી જોવા મળે છે.

 

છૂટાછેડાના મુખ્ય કારણો

 

સોશિયલ મીડિયાનો આભાસી પ્રેમ: સોશિયલ મીડિયાથી પરિચયમાં આવી આભાસી આકર્ષણને પ્રેમ સમજી યુવાનો લગ્નનો ઉતાવળિયો નિર્ણય લઈ લે છે. પરંતુ લગ્નજીવાનની વાસ્તવિકતા અને પડકારોના કારણે ડિજિટલ દુનિયાની ઝાકમઝોળમાંથી બહાર આવી ક્યારેક 3 દિવસ તો ક્યારે 6 મહિનામાં છૂટાછેડા તરફ વળે છે.

 

માતા-પિતાની દખલગીરી: પહેલાંના સમયમાં દંપતી છૂટાછેડાની વાત કરે તો પણ બંને પક્ષે માતા-પિતા તેમજ ઘર-સમાજના વડીલો દંપતી વચ્ચેના અણબનાવને દૂર કરી ફરી સાથે રહેવા સમજાવતાં હતાં. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી કોઈ યુગલ છૂટાછેડા માટે અપીલ કરે એટલે દીકરી હોય કે દીકરો બંનેના માતા-પિતા સમજાવવાના બદલે બાળકોની અલગ થવાની જીદમાં જ હામી ભરે છે.

 

ભૌતિક સુવિધાની દેખાદેખી: બાજુના ઘરમાં કાર છે, એસી છે, આવો સોફો છે, આવા પડદાં છે, આપણાં ઘરમાં ક્યારે આવશે આવું બધું? આ પ્રશ્નથી ઘરમાં શરૂ થતા ઝઘડા દાંપત્યજીવનમાં ધીમે ધીમે સડો લગાવે છે. અને વધતા જતાં ઝઘડાના કારણે દંપતી છેલ્લે કોર્ટનું બારણું ખખડાવી હંમેશા માટે પોતાના રસ્તા અલગ કરી દે છે.

 

લગ્નેતર સંબંધ: સોશિયલ મીડિયા માત્ર યુવાનો જ નહીં પરંતુ 40-50 વર્ષની ઉંમરે પહોંચેલા પરણેલા પુરુષોના સુખી સંસારને પણ આગ ચાંપી રહ્યું છે. કોર્ટમાં આવતા 100માંથી 20 કેસમાં પુરુષો લગ્નના 12-15 વર્ષે ફેસબૂક- ઈન્સ્ટાગ્રામમાં અન્ય સ્ત્રી સાથે પ્રેમપ્રકરણ શરૂ કરી પત્ની અને બાળકોને છોડી દે છે.

બાળકોની જવાબદારી પિતાને આપવાના કિસ્સા વધ્યા

 

દાયકા અગાઉ સમાજમાં છૂટાછેડા શબ્દને જ એક ઝેર ગણવામાં આવતું હતું અને જો કોઈ દંપતી અલગ પણ થાય તો તેઓના બાળકની જવાબદારી હંમેશા માતાના શિરે જ જતી હતી. 10માંથી 1 એવી માતા હોય જે પોતાના બાળકની જવાબદારી તેના પિતાને સોંપતી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લાં ત્રણેક વર્ષથી છૂટાછેડાના 50 ટકા કેસમાં માતાઓ બાળકોની જવાબદારી પિતાને આપી દે છે.

 

લગ્નના થોડા જ દિવસોમાં છૂટાછેડાના કેસ વધ્યા

 

લગ્નના થોડા દિવસ કે થોડા જ મહિનામાં જ છૂટાછેડા લેવાના કેસમાં વધારો થયો છે. એક વકીલના જણાવ્યા પ્રમાણે થોડાં સમય પહેલાં 22-25 વર્ષનું એક દંપતી લગ્નના ત્રીજા દિવસે જ છૂટાછેડા લેવા પહોંચ્યું હતું! બેડ પર ભીનો ટાવલ મૂકવા બાબતે, પાણીને ગ્લાસ સ્ટેન્ડમાં ન મૂકવાથી, સફાઈ જાળવવા જેવા ક્ષુલ્લક કારણોના લીધે શરૂ થયેલાં ઝઘડા લગ્નજીવનને અદાલતના આંગણે પહોંચાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *