
તેમણે તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને હરાવીને જનાદેશ આપવા બદલ બંગાળની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મમતા બેનર્જીને આડેહાથ લીધા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જીના સરમુખત્યારશાહી શાસન વિરુદ્ધ મતદાન કરવા બદલ બંગાળના લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે તે તમામ ભાજપ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો, જેમણે રાજ્યમાં આ ઐતિહાસિક જનાદેશ મેળવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. વધુમાં ભાજપના 321 કાર્યકર્તાઓએ ગુમાવેલા જીવ અને તેમના બલિદાનને વંદન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, બંગાળની રક્ષા કરીને આપણે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. આ યાત્રા જેટલી આનંદદાયક છે, તેટલી જ પીડાદાયક પણ છે. જો કે, હવે ઘૂસણખોરી અને ગૌ-તસ્કરી જેવી પ્રવૃત્તિઓ અસંભવ બનશે તેવો મક્કમ નિર્ણય લીધો છે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “નરેન્દ્ર મોદીએ બંગાળના લોકો સાથે જે વાયદો કર્યો છે, તેને પૂરો કરવો એ આપણી સામૂહિક જવાબદારી છે. બંગાળના લોકો અને તેમના સારા ભવિષ્ય માટે આપણે પૂરેપૂરી મહેનત કરવી પડશે.” તેમણે એમ પણ જણાવ્યું કે, ભાજપ બંગાળની લોકતાંત્રિક વ્યવસ્થામાં પરિવર્તન લાવશે.
ઘૂસણખોરી અને ગૌ-તસ્કરી હવે ‘ના બરાબર’: અમિત શાહ
તેમણે ઉમેર્યું હતું કે, “લાંબા સમયથી, પાંચ દાયકાઓ સુધી બંગાળે લોકશાહી નબળી પડવી, કાયદો અને વ્યવસ્થા કથળવી, અર્થતંત્ર નબળું પડવું અને વિકાસની ધીમી ગતિનો સામનો કર્યો છે. આજે બંગાળ એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે.” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, હવે આસામ અને ત્રિપુરામાં ભાજપ સત્તામાં છે અને આવતીકાલે બંગાળમાં પણ સરકાર બનાવવા જઈ રહી છે, તેથી હવે ઘૂસણખોરી અને ગૌ-તસ્કરી અશક્ય બની જશે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં બોલતા અમિત શાહે ઐતિહાસિક જનાદેશ આપવા બદલ ભવાનીપુરના તમામ મતદારોનો આભાર માન્યો હતો. વિદાય લઈ રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે, “દીદી, આ વખતે સુવેન્દુ દાએ (અધિકારી) તમને તમારા જ ઘરમાં હરાવી દીધા છે.”
તેમણે એ પણ કહ્યું હતું કે, “વિરોધ પક્ષના નેતાઓને લોકોની આજીવિકા અને રોજગાર વિશે બોલવાની કોઈ તક આપવામાં આવતી નથી. એવામાં તેમને જનતાની લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી નથી. તેમ છતાંય, સત્તાધારી પક્ષ નવ જિલ્લાઓમાં શૂન્ય પર સમેટાઈ ગયો છે. આવું માત્ર ઈશ્વરના આશીર્વાદ અને બંગાળની જનતાના સમર્થનને કારણે જ શક્ય બન્યું છે.”
અમિત શાહે ECI નો આભાર વ્યક્ત કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રીએ બંગાળમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા બદલ ભારતીય ચૂંટણી પંચ (ECI) નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “કોઈપણ CMC વોર્ડમાંથી દરોડા કે બૂથ કેપ્ચરિંગ અંગે એક પણ ફરિયાદ મળી નથી. માત્ર એક જ દિવસમાં મતદાન 93 ટકાને પાર કરી ગયું, જે રાજ્યમાં ચૂંટણી દરમિયાન સેંકડો મૃતદેહો ગણવામાં આવતા હતા, ત્યાં આ વખતે બંને તબક્કામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.”
તેમણે આગળ જણાવ્યું કે, “હું ભારતીય ચૂંટણી પંચ, ચૂંટણી પંચ હેઠળ કામ કરતા તમામ સુરક્ષા દળો, બંગાળ સરકારના તમામ કર્મચારીઓ અને બંગાળ પોલીસને દિલથી અભિનંદન પાઠવવા માંગુ છું. તમે જે કામ કર્યું છે, તેનાથી આખા દેશમાં લોકશાહીનો સંદેશ પહોંચ્યો છે.”
ભાજપ નંબર 1 પક્ષ છે: અમિત શાહ
તેમણે માહિતી આપી હતી કે, “30 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓમાં ભાજપ નંબર એક પક્ષ બનીને ઉભરી આવ્યો છે. એવો એક પણ જિલ્લો નથી જ્યાં આપણો કોઈ ધારાસભ્ય (MLA) ન હોય. પૂર્વ મેદિનીપુરમાં તમામ 16 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. આસનસોલ, પુરુલિયા અને બાંકુરામાં પણ તમામ બેઠકો ભાજપને મળી છે. દાર્જિલિંગ, કાલિમ્પૉંગ, જલપાઈગુડી અને કૂચ બિહારમાં પણ દરેક બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે.”