ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

Spread the love
ગુજરાત સહિત આખા દેશમાં આવતીકાલે 1 જૂનથી ‘વસ્તી ગણતરી-2027’ ના પહેલા તબક્કાની શાનદાર શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ગણતરી કંઈક અલગ અને ખાસ છે, કારણ કે આઝાદી પછીની આ 8મી અને દેશની 16મી વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી એટલે કે મોબાઈલ એપ દ્વારા થવાની છે. તમારા ઘરે કર્મચારીઓ આવશે અને ટેકનોલોજીની મદદથી માહિતી એકઠી કરશે.

આ એક રાષ્ટ્રીય મહાઅભિયાન છે, જેમાં આપણે સૌએ સાચી માહિતી આપીને સહકાર આપવાનો છે, પણ હા, બેંક ખાતા કે દસ્તાવેજોને લગતી અમુક ખાનગી માહિતી આપવાની સખત મનાઈ પણ કરવામાં આવી છે. રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાઈને સાચી વિગતો નોંધાવવા અપીલ કરી છે.

 

1 લાખથી વધુ કર્મચારીઓની ફોજ મેદાનમાં ઉતરશે

 

આ મોટા કામ માટે રાજ્યમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs) બનાવવામાં આવ્યા છે. જેમાં 1,09,038 ગણતરીદારો (કર્મચારીઓ) અને 18,254 સુપરવાઈઝર ઘરે-ઘરે ફરશે. ગામડું હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, દરેક જગ્યાએ આ ટીમ પહોંચશે. આ કામ બરાબર થાય તે માટે તેમને ત્રણ તબક્કામાં ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સારી વાત એ છે કે, ગુજરાતી સહિત 16 અલગ-અલગ સત્તાવાર ભાષાઓમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ મારફતે ડેટા સેવ કરી શકાશે. જ્યાં ઇન્ટરનેટ નહિ હોય તેવા અંતરિયાળ ગામડાઓમાં પણ ઓફલાઇન ડેટા સેવ કરવાની સુવિધા એપમાં અપાઈ છે.

આખી પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થશે, 33 સવાલો પૂછાશે

 

પહેલો તબક્કો (1 થી 30 જૂન, 2026): આ આખા મહિના દરમિયાન કર્મચારીઓ તમારા ઘરે-ઘરે આવીને ‘ઘર અને મકાનોની ગણતરી’ (HLO) કરશે. જેમાં તમારા ઘરની સ્થિતિ, ઘરમાં કેટલા લોકો રહે છે, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા છે કે નહીં, વગેરે જેવા 33 સવાલો પૂછવામાં આવશે. આ વખતે અમુક નવા સવાલો પણ ઉમેરાયા છે, જેમ કે- તમે કયું અનાજ વધુ ખાવ છો? તમે ઇન્ટરનેટ, સ્માર્ટફોન કે બોટલવાળું પાણી વાપરો છો કે નહીં? તેની માહિતી પહેલીવાર લેવાશે.

 

બીજો તબક્કો (9 થી 28 ફેબ્રુઆરી, 2027): આ ફાઈનલ રાઉન્ડમાં મુખ્ય વસ્તી ગણતરી થશે. એટલું જ નહીં, દેશના ઈતિહાસમાં પહેલીવાર સત્તાવાર રીતે ‘જાતિ ગણતરી’ (PE) ની કામગીરી પણ આની સાથે જ સંયુક્ત રીતે પૂરી કરવામાં આવશે.

સાવધાન! જો કર્મચારી આ 3 સવાલો પૂછે તો જવાબ ન આપતા

 

કર્મચારીઓ તમને ઘર અને પરિવાર વિશે પૂછે તે માહિતી આપવી જરૂરી છે, પણ જો તેઓ નીચે મુજબના 3 સવાલો પૂછે તો તમારે સ્પષ્ટ ના પાડી દેવાની છે:

 

આવક વિશે: તમારી આવક કેટલી છે, મહિનાની કમાણી કેટલી છે અથવા બેંકમાં કેટલું બેલેન્સ છે તેવો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ ન આપવો.

 

દસ્તાવેજો વિશે: તમારે કોઈને પણ તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કોઈ પણ ઓળખપત્ર (આઈડી પ્રૂફ) બતાવવાની કે તેની ઝેરોક્ષ આપવાની જરૂર નથી. દસ્તાવેજો બતાવવા માટે કોઈ તમારા પર દબાણ ન કરી શકે.

 

બેંકની વિગતો: ક્યારેય પણ કોઈ કર્મચારીને બેંકનો ખાતા નંબર કે તમારા મોબાઈલમાં આવેલો કોઈ OTP (ઓટીપી) શેર કરવો નહીં.

 

ખોટી માહિતી આપી તો દંડ થશે, ડેટા એકદમ સુરક્ષિત રહેશે

 

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કાયદો બનાવ્યો છે કે, જનગણના દરમિયાન લેવાયેલી તમારી તમામ ખાનગી માહિતી ‘જનગણના અધિનિયમ-1948’ હેઠળ એકદમ ગુપ્ત રખાશે. આ ડેટાનો ઉપયોગ તમારી વિરુદ્ધ કોઈ પણ કોર્ટ કે ઇન્કમટેક્સની નોટિસ માટે ક્યારેય પુરાવા તરીકે કરવામાં આવશે નહીં. જોકે, કાયદા મુજબ દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ જાણીજોઈને ખોટી માહિતી આપશે અથવા માહિતી આપવાની ના પાડશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ થઈ શકે છે.

 

નાગરિકો પોતાની કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્નોના નિરાકરણ માટે સરકારના સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર ફોન કરી શકે છે અથવા censusindia.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *