અદાણી CNGના ભાવમાં ફરી ‘ગેસ’! 2 રૂપિયાનો સીધો વધારો, 2026માં અત્યાર સુધીમાં ₹10નો બોજ

Spread the love

અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

 

CNGનો નવો ભાવ પ્રતિ કિલો 90 રૂપિયા પર પહોંચ્યો છે. ભાવ વધારાના કારણે CNG રિક્ષાચાલકો અને CNG વાહનધારકો પર ભારણ વધશે. નોંધનીય છે કે, અદાણી CNG દ્વારા વર્ષ 2026માં પ્રતિ કિલો CNGમાં કૂલ 10 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. આ પહેલા 27 મે, 2026ના રોજ પ્રતિ કિલો રૂપિયા 2નો વધારો કરાયો હતો. 3 મહિનામાં જ ફરીએકવાર ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

 

રિક્ષાચાલક એક્તા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારે એક મહિના પહેલા ભાવ વધારો મંજૂર કર્યો હતો. પરંતુ, તેનું નોટિફિકેશન બહાર પાડ્યું ન હોય અમે ભાવ વધારો લઈ શકતા નથી. ત્યાં જ ફરી સીએનજીમાં ભાવ વધારો અમારા માટે તો પડ્યા પર પાટુ સમાન છે.

અમદાવાદમાં અદાણી CNGનો નવો ભાવ પ્રતિ કિલો 90.02 ३पिया

 

વાહનચાલકોને ફરી એક વખત મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ બાદ હવે અમદાવાદમાં CNGનો દર 88.20 રૂપિયાથી વધીને 90.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં વારંવાર ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ થોડો ઘટાડો કર્યા બાદ ફરી સતત ભાવ વધારો કરવામાં આવતા CNG પર નિર્ભર લાખો વાહનચાલકોની ચિંતા વધી છે.

રિક્ષાચાલકો પર ભાવવધારાની અસર થશે

 

ખાસ કરીને રોજિંદી આવક પર નિર્ભર ઓટોરિક્ષા ચાલકો માટે આ વધારો વધુ મુશ્કેલી ઉભી કરનાર સાબિત થયો છે. ઇંધણ ખર્ચમાં વધારો થતાં તેમની આવક પર સીધી અસર પડી રહી છે. CNGના ભાવ વધારાનો સૌથી વધુ વિરોધ અમદાવાદના રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે પેટ્રોલની સરખામણીએ CNG ઘણું સસ્તું હોવાથી લોકો CNG વાહનો તરફ વળ્યા હતા. પરંતુ હવે વારંવાર થતા ભાવ વધારાને કારણે CNGના દર પણ પેટ્રોલની નજીક પહોંચી ગયા છે.

આ ભાવ વધારો અમારા માટે પડ્યા પર પાટુ સમાન-વિજય મકવાણા

 

અમદાવાદ રીક્ષા ચાહક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, ફરી એક વખત CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ જે 88.02 રૂપિયા હતો તેમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવતા નવો ભાવ 90.02 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષમાં રીક્ષા ચાલકોના ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં ન હતો આવ્યો. એક મહિના પહેલા ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી ખાતે જે ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો તે પણ હજુ સુધી રિક્ષા ચાલકોને મળ્યો નથી. સરકાર દ્વારા હજુ સુધી જાહેરનામું અને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. જેથી રિક્ષાચાલકો નવું ભાડું લઈ શકતા નથી. અત્યારનો જે ભાવ વધારો છે તે પડ્યા પર પાટુ સમાન છે. જેથી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *