વડોદરા
વડોદરાની આરોગ્યસેવામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કરતાં ઝાયડસ હોસ્પિટલ ખાતે બીજી અદ્યતન ન્યુરો અને કાર્ડિયો કેથલેબનું 8 ઓગસ્ટ, 2026 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધા સાથે હવે ઝાયડસ હોસ્પિટલમાં એક જ છત હેઠળ બે અત્યાધુનિક કેથલેબ કાર્યરત બન્યા છે, જે હૃદય અને મગજ સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓને વધુ ઝડપી, ચોક્કસ અને અદ્યતન સારવાર પૂરી પાડશે.
ઝાયડસની આ અદ્યતન સુવિધાનો મુખ્ય ઉદ્દેશ ન્યુરો તથા કાર્ડિયોની રક્તવાહિનીઓ સંબંધિત ગંભીર અને જટિલ પરિસ્થિતિઓમાં દર્દીઓને સમયસર નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. જેમાં કાર્ડિયોલોજી, ન્યુરો-ઇન્ટરવેન્શન, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, ક્રિટિકલ કેર, ઈન્ટરવેન્શન રેડિયોલોજી અને અન્ય નિષ્ણાતોની મલ્ટિડિસિપ્લિનરી ટીમ દ્વારા દર્દીઓને વ્યાપક સંભાળ પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ખાસ કરીને હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ (હૃદયની ધમનીઓમાં અવરોધ), ગંભીર બ્લોકેજ, સ્ટ્રોક તેમજ અન્ય મગજની રક્તવાહિનીઓના રોગોમાં દર્દીઓ માટે ઇન્ટરવેન્શનલ સારવારની સુવિધા વધુ સુદૃઢ બનશે.
હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ઇમરજન્સીમાં સમયસર સારવાર દર્દીના જીવન માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હોસ્પિટલમાં હવે બે કેથલેબ ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક તેમજ પૂર્વનિયોજિત સારવાર પ્રક્રિયાઓને વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકાય છે. તેની સાથે સારવારમાં થતો વિલંબ પણ ઘટશે.
દીપ પ્રાગટ્ય અને લોકાર્પણવિધિ સાથે શરુ થયેલ આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર શ્રી નયન મોગીયા, ઝાયડસ ગ્રુપના CEO, ઝાયડસ હોસ્પિટલના COO, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મહિમા છાજેર, ડૉ. બિપિન દાસારી, ડૉ. સૌરભ બિશ્વાસ, ન્યુરોસર્જન ડૉ. સુરેશ નાયક, ડૉ. ભગવતી સાલગોત્રા તથા અન્ય પ્રતિષ્ઠિત ડૉક્ટર્સ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઝાયડસ હોસ્પિટલ, વડોદરા ખાતે હવે બે અદ્યતન કેથલેબ દ્વારા વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના વિસ્તારોના દર્દીઓને એક જ સ્થળે વધુ સક્ષમ, ઝડપી અને વિશ્વસનીય સુવિધા પ્રાપ્ત થશે; જે દર્દીકેન્દ્રિત આરોગ્યસેવાને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
ઝાયડસની ઉત્તમ નિદાન સેવાઓ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોટોકોલ-આધારિત સારવારની સાથે ન્યુરો તથા કાર્ડિયો ટીમોનાં પોતાનાં કાર્ય તરફ એકાગ્રતા અને કુનેહથી હાથ ધરવાની તેમની ક્ષમતા પુરવાર કરી છે. ઝાયડસ મલ્ટિસ્પેશિયાલિટી તથા ઝાયડસ કૅન્સર હોસ્પિટલના કુશળ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું આ શિસ્તબદ્ધ એકાકીકરણ, દર્દીની ઉત્તમ સંભાળ અને વ્યવસ્થાપન માટે એક સર્વગ્રાહી અભિગમની ખાતરી આપે છે.
