સુરત શહેરના નાસીરનગરના વિવાદીત ડિમોલિશન તેમજ આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે ચર્ચાના ચગડોળે ચઢેલા SOG DCP નકુમની હજુ બદલી થઈ નથી. ગુજરાત હાઇકોર્ટે ડીસીપી રાજદીપસિંહ નકુમ (Rajdeepsinh Nakum) ને તુરંત બદલી કરવા આદેશ કર્યા બાદ સુરત ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર જજ વિશે વિવાદાસ્પદ તેમજ ખરાબ ભાષામાં ટિપ્પણી કરી છે.આ મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટના વકીલોએ સોમવારે બપોરે તત્કાલ સામાન્ય સભા (EGM) બોલાવી છે. અત્રે નોંધનીય છે કે, લગભગ સવા 4 વર્ષથી સુરત એસઓજી ડીસીપી તરીકે ફરજ બજાવી રહેલા રાજદીપસિંહ નકુમ વિવાદમાં (SOG DCP controversy) આવતા અનેક સંગઠન અને વેપારી તેમની તરફેણમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી વ્હાલા થવા પ્રયાસ કરી ચૂક્યા છે.
નાસીરનગર ડિમોલિશન વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારથી જ સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન (M Nagarajan) અને એસઓજી ડીસીપી નકુમ કેન્દ્ર સ્થાને હતા. હાઇકોર્ટના આકરા વલણ બાદ ગુજરાત સરકારે SMC કમિશનર એમ. નાગરાજનની ગત મંગળવારે બદલી કરી દીધી હતી. જ્યારે 14 ઓગસ્ટના રોજ હાઇકોર્ટે આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલામાં ડીસીપી નકુમની તત્કાલ બદલી કરવા આદેશ કર્યો હતો. જે મામલે આગામી શુક્રવારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
હાઇકોર્ટના આકરા વલણ બાદ સુરત ભાજપના નેતા મુકેશ ગુજરાતી એ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગત 14 ઓગસ્ટની રાત્રે બે પોસ્ટ કરી હતી. જેમાં એકમાં લખ્યું કે, ‘જજને જેહાદીઓને માર્યા તેમાં બળતરા આવી છે. સિમી ગેંગના આતંકના વીડિયો બાડાએ નહીં જોયા હોય? એક વાર તે ઓછા ટકાવાળો જજ નકુમ સાહેબની અડફેટે ચડે તો ખબર પડે’. બીજી પોસ્ટમાં લખ્યું કે, ‘DCP નકુમ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઈમ વધારવા માંગે છે? જજને વહીવટનો કીડો હોય તો એકવાર ચૂંટણી મેદાનમાં આવે. જનતા શું ઇચ્છે છે તે ખબર પડી જશે’.