તમિલનાડુના મહાબલીપુરમમાં દક્ષિણ ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ભારતના વિકાસ મોડલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે દક્ષિણ ભારતની સમગ્ર વિકાસયાત્રા ત્રણ મુખ્ય આધારસ્તંભો પર આધારિત રહી છે. ઉચ્ચ સાક્ષરતા દર, પ્રશિક્ષિત માનવબળ અને ઊંડા સમુદ્રના સંસાધનોના ઉપયોગમાં ટેક્નિકલ નિપુણતા.
દક્ષિણ ભારતનું દેશના વિકાસમાં સૌથી મોટું યોગદાન
અમિત શાહે કહ્યું કે આ ત્રણેય બાબતોએ દક્ષિણ ભારતને દેશના વિકાસમાં સૌથી મોટું યોગદાન આપનાર ક્ષેત્ર બનાવ્યું છે. દક્ષિણ ભારતના લોકો તેમજ રાજ્ય સરકારોએ નવીનતા અને આવક ઊભી કરવાની દિશામાં પણ અનેક શ્રેષ્ઠ પરંપરાઓ સ્થાપિત કરી છે. તેમણે કહ્યું કે દેશના અન્ય ભાગોએ પણ દક્ષિણ ભારત પાસેથી બે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં શીખવું જોઈએ. ઈનોવેશન એટલે કે નવીનતા અને રેવન્યુ જનરેશન એટલે કે આવક ઊભી કરવાની ક્ષમતા. અમિત શાહના જણાવ્યા મુજબ, આ બંને ક્ષેત્રોમાં દક્ષિણ ભારતે નોંધપાત્ર કામગીરી કરી છે અને તેના અનુભવો સમગ્ર દેશ માટે ઉપયોગી બની શકે છે.
વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી
દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠકમાં દક્ષિણ ભારત સાથે જોડાયેલા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકાર વધારવા તથા પ્રાદેશિક વિકાસને વધુ ગતિ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમિત શાહે દક્ષિણ ભારતની માનવ સંસાધન ક્ષમતા, ટેક્નિકલ કુશળતા અને નવીનતા આધારિત વિકાસને દેશ માટે પ્રેરણારૂપ ગણાવ્યો. તેમણે ભાર મૂક્યો કે અલગ-અલગ પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખીને સમગ્ર દેશના વિકાસને વધુ વેગ આપી શકાય છે.
