ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

Spread the love

કર્ણાટકમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ મહિલાએ પોતાનું આખું જીવન ભીખ માંગીને વિતાવી દીધું, અને તેના મૃત્યુ પછીતેના ઘરમાંથી મળેલી ચલણી નોટોના કોથળાઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. પ્લાસ્ટિકના કોથળાઓમાંથી ₹10, ₹20 અને ₹50ની હજારો નોટો મળી આવી હતી. જ્યારે બધા તેને ગરીબ ભિખારી માનતા હતા, ત્યારે તે વાસ્તવમાં લખપતિ દાદી નીકળી.

તેના ઘરમાંથી એટલી બધી રોકડ મળી આવી હતી કે તેને ગણવા માટે મશીન લાવવું પડ્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શું છે આખો મામલો?

 

કર્ણાટકના મંડ્યા જિલ્લાના ગુથાલુ વિસ્તારની રહેવાસી હૂર ઉન્નિસા નામની એક વૃદ્ધ મહિલા, તેની બહેન સાથે રહેતી હતી અને ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. બંનેમાંથી કોઈએ ક્યારેય લગ્ન કર્યા નહોતા. હૂરની બહેનનું લગભગ બે વર્ષ અગાઉ અવસાન થયું હતું, જેના કારણે તે એકલી પડી ગઈ હતી. લાંબા સમયથી બીમાર ચાલી રહેલી હૂર ઉન્નિસાનું રવિવારે અવસાન થઇ ગયું; ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ તેમના ઘરની તપાસ કરી. ઉન્નિસાના ઘરથી રોકડથી ભરેલી 30 થી વધુ કોથળા મળી આવી, જેમાં લાખો રૂપિયા હતા.

ઉન્નિસાના મૃત્યુ પછી, મળેલી રોકડમાંથી ₹8-9 લાખની ગણતરી થઈ ચૂકી છે, જ્યારે 20 કોથળાઓમાં રહેલી રકમની ગણતરી બાકી છે. ગુથાલુ વિસ્તારની એક મસ્જિદે હાલમાં તેના ઘરમાંથી મળેલા પૈસાને પોતાના કબજામાં લઇ લીધા છે. તેના સંબંધીઓને પૈસાઓ વિશે જાણ કરવામાં આવી છે. બાકીના 20 કોથળાઓની ગણતરી તેના સંબંધીઓની હાજરીમાં કરવામાં આવશે. ઉન્નિસાની આજીવન બચત કોને મળવી તે અંગે નિર્ણય ત્યારબાદ લેવામાં આવશે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભીખ માંગીને જીવતી હૂર ઉન્નિસા પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેણે આટલા વર્ષો સુધી તેને ઘરમાં કેમ સંભાળીને રાખી? હાલમાં, આ પ્રશ્નોના કોઈ જવાબ સામે આવ્યા નથી. સંબંધીઓ આવ્યા પછી અને સમગ્ર રોકડ રકમની ગણતરી કર્યા પછી જ નક્કી થશે કે આ પૈસા પર કોનો કાયદેસર અધિકાર છે?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *