પડોશી દેશ નેપાળમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂર અને ભૂસ્ખલનની ગંભીર આપત્તિ વચ્ચે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા અનેક ગુજરાતીઓ ફસાઈ જતાં રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. નેપાળમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓને હેમખેમ અને ઝડપથી સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય તેમજ નેપાળના સ્થાનિક સત્તાવાળાઓ સાથે ઉચ્ચ સ્તરે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે.
PMO અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેપાળ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નેપાળ સરકારના સતત સંપર્કમાં રહીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત દેશના તમામ નાગરિકોની સુરક્ષા પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી માહિતી અને બચાવ કામગીરીનું આદાન-પ્રદાન કરી રહ્યા છે.
અમદાવાદ સહિત 9 જિલ્લાના 18 પ્રવાસીઓ ગુમ હોવાની પ્રાથમિક માહિતી
રાજ્ય સરકારના કંટ્રોલ રૂમને અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ગુજરાતના 9 જિલ્લાના અંદાજે 18 જેટલા નાગરિકો ગુમ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ગુમ થયેલા પ્રવાસીઓમાં અમદાવાદ, આણંદ, રાજકોટ, વલસાડ, સુરત, ખેડા, અમરેલી, ગાંધીનગર અને વડોદરા જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે.
જે પરિવારોએ પોતાના સ્વજનો સંપર્કવિહોણા બન્યા હોવાની જાણ તંત્રને કરી છે, તેમના ડેટાના આધારે વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસ મારફતે તેમને ટ્રેસ કરવા માટે તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી छे.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા
અસરગ્રસ્ત પરિવારોની સુવિધા અને સચોટ માહિતીના આદાન-પ્રદાન માટે મુખ્યમંત્રીના આદેશથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. નાગરિકો કોઈપણ માહિતી કે મદદ માટે લેન્ડલાઇન નંબર 079-23251900, मोजान नंजर 9978405304 તેમજ ટોલ ફ્રી નંબર 1070 પર ચોવીસે કલાક સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં પણ વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે.
દરેક ગુજરાતી પરિવારની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ: પ્રવક્તા મંત્રી મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ કટોકટી અને ચિંતાની ઘડીમાં રાજ્ય સરકાર દરેક પ્રભાવિત ગુજરાતી પરિવારની સાથે મક્કમતાથી ઊભી છે.
અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને તેમને વતન પરત લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ સ્ત્રોતોનો ઉપયોગ કરી રહી છે. નેપાળમાં બદલાતી પરિસ્થિતિ મુજબ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહીને કામ કરવા સ્પષ્ટ આદેશો આપી દેવામાં આવ્યા છે.
