વડાપ્રધાન મોદીના જન્મદિવસથી ભાજપની બે સંપર્ક યાત્રા વડનગરથી વારાણસી યોજાશે

Spread the love

રોજના 100 કી.મી.નું અંતર બાઈક અને બસથી કપાશે : નિર્ધારિત સ્થળે 4-4 કાર્યક્રમોઃ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ સામેલ થશે

 

રાજકોટ તા.2

આગામી તા.17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ભાજપ એક પુર્વ થી પશ્ચિમ સુધીની વિશાળ સંપર્ક યાત્રાનો પ્રારંભ કરશે અને તેમાં ભાજપની કેન્દ્ર અને રાજય સરકારોના કામકાજ અંગે લોકોનો સંપર્ક કરી માહિતગાર કરશે. યાત્રાની શરુઆત તા.17ના રોજ વડાપ્રધાન મોદીના વતન વડનગર અને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી બંને સ્થળોથી સમાંતર ચાલુ થશે. આ બન્ને શહેરોમાંથી ભાજપની 10-10 ટીમો રવાના થશે અને 1500 કી.મી. જેટલી સફર કરશે.

 

વારાણસીથી શરુ થનારી યાત્રા વડનગર પહોંચશે અને વડનગરથી પ્રારંભ થનારી યાત્રા વારાણસી પહોંચશે. દરેક ટીમ રોજના 100 કી.મી.નું અંતર કાપશે જેમાં 10થી વધુ બાઈક, બસમાં કાર્યકર્તાઓ સામેલ થશે અને નિશ્ચિત રૂટ પર તેઓ જે તે વિસ્તારના લોકોને મળશે.

 

દરેક પડાવ પર ચાર કાર્યક્રમ થશે. જેમાં સરકારની ઉપલબ્ધીઓ અને વિકાસનું મોડેલ રજુ થશે. આ યાત્રા એક મહિનાનો સમય ચાલશે અને તેમાં સ્થાનિક સ્તરે ભાજપના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાશે અને વિશાળ કાર્યક્રમ દરેક સ્થળોએ યોજાશે. આમ વડાપ્રધાન મોદીના જન્મદિવસે જબરી તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને દેશભરમાં તેની ઉજવણી થશે.

 

ભાજપની વધેલી જેન-ઝી ચિંતાનો પડઘો, દરેક કાર્યક્રમમાં યુવાઓને સામેલ કરાશે

વડાપ્રધાન મોદી તા.8ના વડોદરામાં યુવા સંવાદ કાર્યક્રમ યોજશે

એમ.એસ. યુનિ.ના મેદાનમાં આયોજનઃ વડાપ્રધાનનો રોડ-શો પણ યોજાશે : ગુજરાતને 30 હજાર કરોડના પ્રોજેકટની ભેટ : સરદારધામ-3નું ઉદઘાટન કરશે

રાજકોટ તા.2

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત તા.8ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમાં વડોદરામાં એમ.એસ. યુનિ.માં શ્રી મોદી વિશાળ યુવા સંવાદ કાર્યક્રમ યોજશે. હાલમાં જે રીતે જેન-ઝી એક ફેકટર બની ગયું છે તેથી ભાજપની ચિંતા વધી ગઈ છે.

 

દરેક આયોજનમાં જેન-ઝીને સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે સમયે શ્રી મોદી વડોદરામાં બપોરે 12 વાગ્યે પહોંચશે અને સીધા યુનિ. ગ્રાઉન્ડ પર 10 હજારથી વધુ યુવાઓની હાજરીમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજશે.

 

વડોદરામાં મોદીના સ્વાગત માટે જબરી તૈયારી શરુ થઈ ગઈ છે. તેમની એક રોડ-શો પણ યોજાશે. એમ.એસ. યુનિ. પેવેલિયન ગ્રાઉન્ડમાં પણ આ અંગેની તૈયારી થઈ રહી છે. શ્રી મોદી આ ઉપરાંત ગુજરાતને 30 હજાર કરોડથી વધુના પ્રોજેકટની ભેટ આપશે.

 

અહી તેઓ સરદારધામ-3નો પણ પ્રારંભ કરશે. શ્રી મોદીના કાર્યક્રમ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ તૈયારીમાં માર્ગદર્શન આપી રહ્યા છે તથા રોડ-શોનો રૂટ પણ નિશ્ચિત થશે. ગુજરાતમાં વડાપ્રધાનનો આ પ્રથમ યુવા સંવાદ કાર્યક્રમ હશે અને તેમાં યુનિ.ની વિવિધ ફેકલ્ટીના યુવાઓને ખાસ આમંત્રીત કરાશે.

 

વિકાસકામોથી જેન-ઝી સુધી કેમ પહોંચવું તે માર્ગદર્શન અપાશે

કાલે દિલ્હીમાં ભાજપના 25 યુવા મંત્રીઓનો ખાસ વર્કશોપ

ભાજપની રાજય સરકારોમાં સામેલ મંત્રીઓ હાજર રહેશે : વિકાસકામો અંગે માર્ગદર્શન અપાશેઃ યુવા સંવાદ અને યુવા યાત્રાને મહત્વ આપવા જણાવાશે

નવી દિલ્હી, તા.2

ભાજપે હવે આગામી બે વર્ષની યોજાનારી ધારાસભા ચુંટણીઓ અને 2029માં આવી રહેલી લોકસભા ચુંટણી પુર્વે તેમના રાજય સરકારના મંત્રીઓને પણ હવે ખાસ કરીને વિકાસકામોને કેમ વેગ મળે તથા લોકો સુધી તે પહોંચે તે માટે તાલીમ આપવાનું શરુ કર્યુ છે અને તેમાં આવતીકાલે દિલ્હીમાં ભાજપ શાસનના રાજયોના 25 જેટલા મંત્રીઓ માટે દિલ્હીમાં ભાજપના વડામથક ખાતે વર્કશોપ યોજાશે.

 

તેમાં વિકાસકામો કઈ રીતે ઝડપી પુરા થાય અને લોકો સુધી તેનો લાભ પહોંચે અને લોકોને તે અંગે માહિતી પણ મળે તે જોવા માટે તથા બીજી તરફ યુવા સંકલ્પ તથા યુથ યાત્રા જેવા આયોજનો પણ કરવા અંગે માર્ગદર્શન અપાશે.

 

ખાસ કરીને ગ્રાસરૂટ લેવલ સુધી જે પ્રથમ વખતના મતદારો છે તે તથા જેન-ઝી સુધી આ સંદેશ પહોંચે તે નિશ્ચિત કરાશે. આ વર્કશોપને ભાજપ અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે અને તેમાં અનુભવી મંત્રીઓ તથા જે તે ક્ષેત્રના નિષ્ણાંતો માર્ગદર્શન આપશે.

 

આ મંત્રીઓ બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસે પણ મળે તેવા સંકેત છે. ગુજરાતમાંથી આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્કશોપમાં જોડાય તેવી શકયતા નકારાતી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *