જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અને વાલી/માતા-પિતાના નામમાં સુધારા અંગે રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તા. 2 સપ્ટેમ્બર, 2026ના આદેશમાં રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને વિવિધ પરિસ્થિતિમાં કયા પ્રકારના સુધારા કરી શકાશે તેની વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળ જન્મ-મરણ નોંધણીની કામગીરી થાય છે.
માતાનું નામ ઉમેરવા પિતાની લેખિત સંમતિ જરૂરી બાળકના જન્મના દાખલામાં પિતાનું નામ હટાવીને માતાનું નામ દાખલ કરવાનું હોય, અને માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય, તો પિતાની લેખિત સંમતિના આધારે જરૂરી સુધારો કરી શકાશે. જો માતા-પિતા છૂટાછેડા લીધેલા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો કોર્ટના હુકમના આધારે બાળકના જન્મના દાખલામાં માતાનું નામ અને અટક રાખી સુધારો કરી શકાશે.
મિડલ નેમ’ હવે ફરજિયાત નહીં નવી ગાઈડલાઈનનો સૌથી મહત્વનો ફેરફાર એ છે કે જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામમાં પિતાનું નામ ‘Middle Name’ તરીકે રાખવું ફરજિયાત રહેશે નહીં. પિતાનું નામ Middle Name તરીકે રાખવું હવે વૈકલ્પિક રહેશે.
કોર્ટના હુકમથી પણ જન્મના દાખલામાં સુધારો છૂટાછેડાના કિસ્સામાં બાળકની કસ્ટડી માતા પાસે હોય અને કોર્ટના હુકમમાં બાળકના જન્મના દાખલામાં માતાનું નામ તથા અટક રાખવાની સ્પષ્ટતા કરવામાં આવી હોય તો કોર્ટના હુકમના આધારે જન્મના દાખલામાં સુધારો કરી શકાશે.
ગેઝેટ અને સરકારી IDના આધારે નામ સુધારો બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ સુધારવાનું હોય અથવા પિતા અને બાળકની અટક અલગ હોય તો જરૂરી આધાર-પુરાવાના આધારે સુધારો થઈ શકશે. તેમાં સરકારી ગેઝેટ તથા સુધારેલા નામવાળા સરકારી ફોટો ID પ્રૂફ, જેમ કે આધારકાર્ડ અથવા પાનકાર્ડ, સહિતના જરૂરી દસ્તાવેજોનો આધાર લઈ શકાય છે.
મરણના દાખલામાં પણ Middle Name અંગે સ્પષ્ટતા
મરણ પ્રમાણપત્રમાં મૃતકના નામની પાછળ પિતા કે પતિનું નામ લખવાનું હોય તો તેને Middle Name તરીકે રાખવું ફરજિયાત નહીં રહે. સંબંધિત વ્યક્તિની જરૂરિયાત અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે નામની રચના કરી શકાશે.
સોગંદનામાની જરૂર નહીં
નવી એડવાઈઝરીમાં ખાસ જણાવાયું છે કે ઉપરોક્ત પ્રકારના સુધારા માટે દરેક કિસ્સામાં સોગંદનામું લેવાની જરૂર નથી. જરૂરી પ્રમાણિત અને આધારભૂત દસ્તાવેજોના આધારે રજિસ્ટ્રાર/સબ-રજિસ્ટ્રાર દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
