ઉત્તર પ્રદેશના ઝાંસી સ્થિત મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદયને હચમચાવી દેતી એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ગરીબ પતિ પોતાની મૃત પત્નીના શવને સ્ટ્રેચર પર રાખીને કલાકો સુધી મેડિકલ કોલેજના પાર્કિંગમાં સહાયની રાહ જોતો રહ્યો. શવને વતન લઈ જવા માટે તેની પાસે ભાડાના પૈસા નહોતા.ધોધમાર વરસાદ વચ્ચે આ લાચાર પિતા પોતાની ભૂખ-તરસ ભૂલીને મદદની આશામાં બેસી રહ્યો હતો, જ્યારે તેની 8 વર્ષની માસૂમ દીકરી પોતાની મૃત માતાના પગ પાસે બેસીને સતત રડી રહી હતી.
સારવાર માટે ઓરછાથી ઝાંસી આવ્યા હતા, પણ પરિણામ કરુણ આવ્યું
મધ્ય પ્રદેશના ઓરછામાં રહેતા રાહુલ આદિવાસીની પત્ની રામવતી ગંભીર રીતે બીમાર હતી. રાહુલ પ્રથમ પોતાની પત્નીને લઈને ઓરછા હોસ્પિટલ ગયો હતો, પરંતુ ત્યાં તેની હાલત વધુ બગડતાં તબીબોએ તેને ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ માટે રિફર કરી હતી. રાહુલ પાસે મુસાફરીના પણ પૈસા નહોતા, જેથી ઓરછાના તબીબે પોતાના ખર્ચે ટેક્સી કરીને તેમને ઝાંસી મોકલ્યા હતા. રાહુલ સાથે તેની 8 વર્ષની પુત્રી નંદની પણ હતી.
તમામ મુશ્કેલીઓ વેઠીને પરિવાર ઝાંસી પહોંચ્યો ખરો, પરંતુ મેડિકલ કોલેજના તબીબોએ રામવતીને તપાસીને મૃત જાહેર કરી હતી. પત્નીના અવસાન બાદ રાહુલ સામે પહાડ જેવી મુસીબત આવીને ઊભી રહી, કારણ કે તેની પાસે મૃતદેહને પોતાના ગામે પાછો લઈ જવા માટે એક પણ રૂપિયો નહોતો.
પાર્કિંગમાં કલાકો સુધી રડતી રહી માસૂમ દીકરી
પૈસાના અભાવે રાહુલે પત્નીના મૃતદેહને સ્ટ્રેચર પર જ રાખ્યો અને ઈમરજન્સી પાર્કિંગમાં આવીને બેસી ગયો. આ દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. 8 વર્ષની માસૂમ દીકરી નંદનીને કદાચ એ પણ ખબર નહોતી કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહી, પણ તે પોતાની માતાના મૃતદેહ પાસે બેસીને સતત આંસુ સારી રહી હતી.
ત્યાંથી પસાર થતા લોકો દ્રશ્ય જોઈને આગળ વધી જતા હતા, પણ કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું. કલાકો સુધી રાહુલ અને તેની દીકરી વરસાદ અને લાચારી વચ્ચે શવ વાહનની રાહ જોતા રહ્યા.
પોલીસ કોન્સ્ટેબલ બન્યો દેવદૂત
વરસાદ બંધ થયા બાદ મેડિકલ કોલેજ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ અજયની નજર પાર્કિંગમાં સ્ટ્રેચર પાસે બેઠેલા આ લાચાર પરિવાર પર પડી. તેમણે તરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોતાની રીતે તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી. પોલીસ કોન્સ્ટેબલની મદદથી રામવતીના મૃતદેહને તેના વતન સન્માનપૂર્વક મોકલવામાં આવ્યો.
આ અંગે મેડિકલ કોલેજના સીએમએસ સચિન માહોરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જો કોઈ દર્દીનું મૃત્યુ થાય અને પરિજનો માંગણી કરે તો શવ વાહન આપવામાં જ આવે છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે કદાચ સ્વજનોએ તબીબો પાસે વાહનની માંગણી જ નહીં કરી હોય. છતાં પણ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરાવવાની ખાતરી આપવામાં આવી છે.
ગરીબી અને લાચારીનું આ દ્રશ્ય સરકારી આરોગ્ય તંત્ર અને સમાજની સંવેદનહીનતા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.