ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની પરસેવાની કમાણી હડપતા અને ગેરકાયદેસર રીતે ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે સુરેન્દ્રનગર પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ઝુંબેશ હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના સક્ષમ નેતૃત્વ હેઠળ સુરેન્દ્રનગર પોલીસે પ્રજાલક્ષી કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં 2,500 થી વધુ અરજીઓનો સંતોષકારક નિકાલ કર્યો છે.પોલીસે પીડિતોને કરોડો રૂપિયાની કિંમતનું સોનું, ચાંદી, જમીનના દસ્તાવેજો અને નાણાં પરત અપાવીને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. અન્યાય સામે પીડિતો માટે ખાખી વર્દી ખરા અર્થમાં સાચો સહારો બનીને ઊભરી આવી છે.
સોનું, ચાંદી અને 33 વીઘા જમીન મુક્ત કરાવીસુરેન્દ્રનગર પોલીસે કડક વલણ દાખવી વ્યાજખોરોની ચુંગાલમાંથી અંદાજે 150 તોલા સોનું, 1.5 કિલો ચાંદી અને 33 વીઘા જમીનના મૂળ દસ્તાવેજો મુક્ત કરાવીને તેના મૂળ માલિકોને સુરક્ષિત પરત સોંપ્યા છે. પોલીસની આ કામગીરીથી દાયકાઓથી શુષણનો ભોગ બની રહેલા ગરીબ પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી છે. કાગડિયા ગીતાબેન અને તરકટા કાનાભાઈ જેવા અનેક પીડિતોએ પોલીસની આ લોકભિમુખ કામગીરીના મુક્ત મને વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
સાયબર ક્રાઈમના 10.80 કરોડ રૂપિયા પરત અપાવ્યામાત્ર વ્યાજખોરી જ નહીં, પરંતુ સાયબર ક્રાઇમ અને આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે પણ સુરેન્દ્રનગર પોલીસ સંજીવની સમાન સાબિત થઈ છે. પોલીસે ટેકનિકલ ટીમની મદદથી વિવિધ બેંક એકાઉન્ટ્સમાં હોલ્ડ કરાવાયેલા 10.80 કરોડ રૂપિયા સફળતાપૂર્વક મેળવીને તેના મૂળ અરજદારોને પરત અપાવ્યા છે.
શ્રમિકો અને ફ્લેટ બુકિંગ વિવાદોમાં પણ ન્યાયજિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વ્યાજખોરી અને સાયબર ક્રાઈમ સિવાય શ્રમિકોની લાંબા સમયથી અટવાયેલી મજૂરીના નાણાં તેમજ ફ્લેટ બુકિંગ સંબંધિત જટિલ વિવાદોમાં પણ પોલીસે મધ્યસ્થી કરીને ત્વરિત ન્યાય અપાવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે નાગરિકોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનું આ પગલું સમગ્ર રાજ્યમાં પ્રશંસનીય બન્યું છે.
