નોટીસોને પગલે રાજકોટના બિલ્ડર આર.કે. ગ્રુપમાં પ્રોપર્ટી ખરીદનારા લોકોમાં દોડધામ : સાત દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે જો કે તેમાં મુદત લઈ શકાય છે છતાં 30 દિવસમાં જવાબ આપવાની જોગવાઈ છે
અમદાવાદ
આર.કે ગ્રુપના પ્રોજેકટોમાં પ્રોપર્ટી ખરીદનારા 1000થી વધુ ગ્રાહકોને નોટીસો આપવામાં આવી છે.અને નાણાકીય વિગતો મંગાવવા ઉપરાંત આકારણી કેસ રીઓપન કેમ ન કરવો તેની શોકોઝ નોટીસ અપાઈ છે.નોટીસોને પગલે આરકે ગ્રુપમાં પ્રોપર્ટી ખરીદનારા લોકોમાં દોડધામ થઈ ગઈ છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે રાજકોટ ઈન્કમટેકસના ઈન્વેસ્ટીગેશન વિભાગે ઓગષ્ટ 2021માં દરોડા પાડયા બાદ દસ્તાવેજો, સાહિત્ય કબ્જે લીધુ હતું અને તેની ચકાસણી કરાયા બાદ એપ્રેઝલ રિપોર્ટ હેડ ઓફિસને પાઠવી દેવામાં આવ્યો હતો. હવે સમગ્ર દોર સેન્ટ્રલ રેન્જ સમક્ષ આવી ગયો છે અને તેના દ્વારા એપ્રેઝલ રિપોર્ટના આધારે વધુ તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે આરકે ગ્રુપના પ્રોજેકટોમાં પ્રોપર્ટી ખરીદનારા 1000થી વધુ ગ્રાહકોને નોટીસો ફટકારવામાં આવી છે. આવકવેરા નોટીસ મેળવનારા આર.કે ગ્રુપના એક પ્રોપર્ટી ગ્રાહકે નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે ઈન્કમટેકસે તેમનો કેસ રીઓપન કેમ ન કરવો તે પ્રકારની શોકોઝ નોટીસ આપી છે. સાત દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. જો કે તેમાં મુદત લઈ શકાય છે છતાં 30 દિવસમાં જવાબ આપવાની જોગવાઈ છે. આવકવેરા ખાતાના એક અધિકારીએ પણ સ્વીકાર્યુ કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં 1000થી વધુ નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે અને આવતા દિવસોમાં હજુ વધુ નોટીસો નીકળવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરકે ગ્રુપની ગણાતી રાજકોટના ટોચના બિલ્ડર તરીકે થાય છે અને 150 ફુટ રીંગરોડથી માંડીને શહેરની ચારેબાજુ રેસીડેન્સીયલથી માંડીને કોમર્સીયલ પ્રોજેકટ ધરાવે છે. ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટમાં પણ સામેલ છે. સૂત્રોના કહેવા પ્રમાણે આવકવેરાની નોટીસોને પગલે આર.કે ગ્રુપના પ્રોજેકટોમાં ઓફિસ કે ફલેટ અથવા ઔદ્યોગીક પ્લોટીંગ ખરીદનારા ગ્રાહકોમાં દોડધામ થઈ પડી છે. ખરીદી પેટે ચૂકવાયેલા નાણાના સ્ત્રોત સહિતની વિગતો આપવાની થતી હોવાથી અને કેસ ફરી રીઓપન થાય તેમ હોવાના કારણે સંખ્યાબંધ લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.
આવકવેરા વિભાગ દ્વારા 24 ઓગષ્ટ 2021ના રોજ રાજકોટના આર.કે .ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આરકે ગ્રુપના સંચાલકો ઉપરાંત ભાગીદારોને પણ નિશાન બનાવીને નિવાસસ્થાન, ઓફિસ સહિતના 40 સ્થળોએ સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. ચારેક દિવસ ચાલેલી દરોડા કાર્યવાહીમાં અંદાજીત 500 કરોડના વ્યવહારો રોકડના ધોરણે કરાયા હોવાનો ખુલાસો અને તેમાંથી 350 કરોડ પ્રોપર્ટીના વેચાણ પેટે રોકડમાં સ્વિકારાયાનું ખુલ્યુ હતું. ઉપરાંત આર.કે. ગ્રુપ દ્વારા 154 કરોડની જમીન ખરીદવામાં આવી હતી તેમાંથી 144 કરોડ રોકડમાં ચૂકવાયાનો પણ ધડાકો થયો હતો. આ ઉપરાંત અંદાજીત 300 કરોડ જેટલી આવક છુપાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય અંદાજીત 7 કરોડની રોકડ તથા પોણા બે કરોડની જવેલરી તથા ચાર કરોડની પ્રોમીસરી નોટ પણ કબ્જે થઈ હતી. 25 બેંક લોકરો સીલ કરાયા હતા તેમાંથી પણ મોટી રોકડ તથા દસ્તાવેજો મળી આવ્યા હતા.