કેન્દ્ર સરકાર એક ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP લઈને આવી છે. જેને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં હાજર થવા જઈ રહેલા સરકારી અધિકારીઓને લઈને કેટલીક વાતો કહી છે. ડ્રાફ્ટ મુજબ સરકારનું કહેવું છે કે ન્યાયાધીશોએ સરકારી અધિકારીઓના પહેરવેશ અને સામાજિક પૃષ્ઠભૂમિ પર ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. સરકારી અધિકારીઓ કોર્ટના કર્મચારી નથી. તેથી કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમના ડ્રેસ કોડ પર કોઈ વાંધો ઉઠાવવો જોઈએ નહીં સિવાય કે તે તેના હોદ્દા મુજબ અનપ્રોફેશનલ અટેલે કે બિનવ્યાવસાયિક હોય.
એક અહેવાલ મુજબ ડ્રાફ્ટ એસઓપીમાં સરકારે કોર્ટની કાર્યવાહીમાં આવા અધિકારીઓની હાજરી અંગે ઘણા સૂચનો આપ્યા છે. આમાં કોર્ટના તિરસ્કારના કેસમાં તેમની હાજરીનો પણ સમાવેશ થાય છે. SOPમાં કહેવામાં આવ્યું છે કે આ માર્ગદર્શિકા ગૌણ અદાલતોમાં લાગુ થવી જોઈએ. સરકારના મતે તેનો હેતુ કોર્ટ અને સરકાર વચ્ચે અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે. આ સાથે કોર્ટની અવમાનનાનો અવકાશ પણ ઘટાડવાનો છે. એસઓપીમાં કોર્ટ અને સરકારી સંસાધનોનો સમય બચાવવા માટે સરકારી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ કરવાની મંજૂરી આપવાનું પણ કહેવામાં આવ્યું છે. એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટની કાર્યવાહીમાં સરકારી અધિકારીઓની હાજરી માત્ર અપવાદરૂપ કેસોમાં જ હોવી જોઈએ. એટલું જ નહીં એસઓપીમાં કહેવામાં આવ્યું છે ‘જાહેર હિતની અરજી અને અવમાનના કેસમાં અધિકારીઓને બોલાવતી વખતે કોર્ટે સંયમ દાખવવો જોઈએ.’
SOPમાં એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી માત્ર અદાલતોમાં લાગુ પડતા આદેશોના સંદર્ભમાં જ શરૂ કરી શકાય છે અને વહીવટી સંબંધિત બાબતોમાં નહીં. વધુમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રવૃત્તિ પર કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કરી રહી છે, જો તે જાણીજોઈને કરવામાં આવી નથી તો અવમાનના પગલાં લેવા જોઈએ નહીં. આ સાથે જ SOPમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે તિરસ્કારની કાર્યવાહીના પરિણામની સમીક્ષા ન થાય ત્યાં સુધી નીચલી અદાલતના સ્તરે તેને સ્થગિત રાખવામાં આવે અને ન્યાયાધીશોએ તેમના આદેશો સાથે સંબંધિત તિરસ્કારની કાર્યવાહીમાં બેસવું જોઈએ નહીં.